સીબીએસઈ બોર્ડના 12મા ધોરણનું રિઝલ્ટ 88.78 ટકા
દિવ્યાંશી જૈન
સીબીએસઈએ ગઈ કાલે ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે લગભગ ૧૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે બોર્ડે જાહેર કર્યું હતું કે આ વખતે તે ટૉપર્સની સાથે મેરિટ લિસ્ટ જાહેર કરશે નહીં.
જોકે લખનઉની દિવ્યાંશી જૈનને મળેલા ૬૦૦માંથી ૬૦૦ ગુણાંક તેને ૨૦૨૦માં સીબીએસઈની ટૉપર બનાવે છે. સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ‘cbseresults.nic.in’ પર ૧૨મા ધોરણનું રિઝલ્ટ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
આ વર્ષે ૧૨મા ધોરણમાં કુલ ૮૮.૭૮ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. જોકે વૈકલ્પિક આકારણી યોજનાના આધારે ૪૦૦ વિદ્યાર્થીઓનાં પરિણામની ગણતરી કરી શકાઈ નથી, જે પાછળથી બહાર પાડવામાં આવશે.
જેની પરીક્ષા આપવામાં આવી નહોતી એવા વિષયો માટે બોર્ડે વૈકલ્પિક આકારણી યોજના પણ રજૂ કરી હતી. વૈકલ્પિક આકારણી યોજના એવા વિષયોની લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રદર્શન પર આધારિત છે, જેની પરીક્ષા બોર્ડે સફળતાપૂર્વક યોજી હતી.
લખનઉની નવયુગ રેડિયન્સ સિનિયર સેકન્ડરી સ્કૂલની ૧૮ વર્ષની વિદ્યાર્થિની દિવ્યાંશી જૈન ભૂગોળ સિવાયના તમામ વિષયોની તમામ પરીક્ષા માટે હાજર રહી હતી, જે કોવિડ-19ને કારણે રદ કરાઈ હતી. બોર્ડે એ વિષય પર સરેરાશ ગુણની ગણતરી કરી પરિણામ જાહેર કર્યું હતું. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સીબીએસઈના ૧૨મા ધોરણના તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં છે.