મુંબઈ: પહેલે દિવસે મુસાફરોના ટેસ્ટિંગમાં ઍરપોર્ટ પર એક પણ પૉઝિટિવ નહીં
એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ
કોરોના રોગચાળામાં હાઈ રિસ્ક ગણાતાં રાજ્યો ગોવા, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનથી આવતા મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ નહીં આપવાની નીતિ અનુસાર બુધવારે ઍરપોર્ટ પર કરવામાં આવેલા ટેસ્ટિંગમાં એક પણ પૉઝિટિવ કેસ મળ્યો નહોતો. મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલાં દેશમાં કોરોના ઇન્ફેક્શનના કેસની મોટી સંખ્યા ધરાવતાં હાઈ રિસ્ક રાજ્યોથી આવતા દરદીઓના આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ્સ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશવા દેવાના સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરની જાહેરાત કરી હતી. એ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરના અનુસંધાનમાં બુધવારે ઍરપોર્ટ પર ૧૨૦ ડોમેસ્ટિક પૅસેન્જર્સની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી એમાંથી એક પણ પૅસેન્જરનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો નહોતો.
મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૉકડાઉન પછી ફ્લાઇટ સર્વિસીસ શરૂ કરાઈ એ દિવસ એટલે કે ૬ સપ્ટેમ્બરથી આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. શરૂઆતમાં ફક્ત અન્ય દેશોથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની એ સુવિધા પછીથી ત્યાંથી રવાના થતા મુસાફરો અને પ્રવાસી ન હોય એવી વ્યક્તિઓ માટે પણ શરૂ કરવામાં આવી હતી. મુંબઈથી વિમાનમાં બોર્ડિંગ કરતા-રવાના થતા મુસાફરો અને પ્રવાસ ન કરતી હોય એવી વ્યક્તિઓ માટેની આ સુવિધા ટર્મિનલ-2 ખાતે લેવલ-4 પર ઉપલબ્ધ છે.