મુંબઈ : સુલતાનને મળશે ફ્રેન્ડ
ડીએનએ ટેસ્ટ દ્વારા વાઘની માતાને શોધવાના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ગોરેવાડા અભયારણ્યથી વાઘના બચ્ચાને એસજીએનપી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બોરીવલીનો સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી) નાગપુરના ગોરેવાડા પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલા નર વાઘને આવકારવા સજ્જ છે. આ વાઘ આવતી કાલે મોડી રાતે અથવા સોમવારે વહેલી સવારે નૅશનલ પાર્ક પહોંચશે. વાઘણ દ્વારા ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યા બાદ ડીએનએ ટેસ્ટ દ્વારા તેની માતાને શોધવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ તેને નૅશનલ પાર્કમાં લાવવાનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
સંજય ગાંધી નૅશનલ પાર્કની ટીમ વાઘના બચ્ચાને નેશનલ પાર્ક લાવી રહી છે.
વાઘ સંબંધે ‘મિડ-ડે’ સાથે વિગતે વાત કરતાં વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ૧૧ મહિનાના આ બચ્ચાને વેટરનરી ડૉક્ટર સાથે અહીં લાવવા સંજય ગાંધી નૅશનલ પાર્કની ટીમ શુક્રવારે સાંજે રવાના થઈ હતી.
વાઘના બચ્ચાને લઈને આવી રહેલી ટીમ ૮૦૦ કિલોમીટર લાંબા પ્રવાસમાં ચારથી પાંચ વખત રોકાણ કરશે, જેથી બચ્ચાને કોઈ તાણ ન વર્તાય. વાહન પ્રતિ કલાક ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે પ્રવાસ કરશે તેમ જ એને પ્રત્યેક ચારથી પાંચ કલાકે પાણી અને ખોરાક આપવામાં આવશે.
આ વર્ષની ૨૪ એપ્રિલે આ વાઘનું બચ્ચું ચંદ્રપુરમાં ચિચપલ્લી શ્રેણીના જંગલમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. તેનો તેની માતા સાથે મેળાપ કરાવવા વાઘના બચ્ચાના વાળ તેમ જ સ્કેટ (મળ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. જોકે આ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા.
આ સાથે નૅશનલ પાર્કમાં ચાર માદા વાઘ બીજલી (૯ વર્ષ), મસ્તાની (૯ વર્ષ), બસંતી (૧૮ વર્ષ) અને લક્ષ્મી (૧૦ વર્ષ) અને બે નર વાઘ સુલતાન તથા આ નવો વાઘ છે.