મુંબઈ : નૅશનલ પાર્કના ‘આનંદ’ નામના વાઘને થયું કૅન્સર
આનંદના જડબામાં ગાંઠ થઈ હતી તેમજ બલ્ડ ટેસ્ટમાં કેન્સરનું નિદાન થયું હતું
સંજય ગાંધી નૅશનલ પાર્ક સફારીમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ૧૦ વર્ષના આનંદ નામના વાઘની કૅન્સરની સારવાર ચાલી રહી છે અને એની હાલત અત્યારે ગંભીર જણાવવામાં આવી રહી છે.
સંજય ગાંધી નૅશનલ પાર્કના વેટરનરી ઑફિસર ડૉ. શૈલેશ પેઠેએ જણાવ્યું કે આનંદના જડબામાં ગાંઠ થઈ હતી અને એની બ્લડ-ટેસ્ટમાં સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું કે એની અંદર રિનલ ડિસીઝ ડેવલપ થઈ રહ્યો છે. મુંબઈ વેટરનરી કૉલેજના સિનિયર પ્રોફેસર અને એક્સપર્ટ્સ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. બાયોપ્સી કરાવ્યા બાદ ખબર પડી છે કે આનંદને કૅન્સર છે. ડૉક્ટરો આનંદની સારવાર કરી રહ્યા છે પણ તબિયત નાજુક છે. ગયા વર્ષે મે મહિનામાં આનંદના મોટા ભાઈનું મૃત્યુ પણ કૅન્સરથી થયું હતું.
ADVERTISEMENT
ડૉ. મનીષ પિંગળે જે આનંદની અત્યારે સારવાર કરી રહ્યા છે તેમણે કહ્યું કે માંદગીને કારણે રવિવારથી આનંદે ખાવાનું બંધ કરી દીધું છે એથી એને આઇવી ફ્લુઇડ પર રાખવામાં આવ્યો છે. અત્યારે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ચાર રૉયલ બેન્ગાલ વાઘણ અને બે વાઘ છે જેમાંનો એક આનંદ છે.