મહારાષ્ટ્રનાં જળાશયોમાં થયો 49 ટકા પાણીનો સંગ્રહ
મહારાષ્ટ્રનાં જળાશયોમાં અત્યારે ૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે
મહારાષ્ટ્રનાં જળાશયોમાં અત્યારે ૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં આ પ્રમાણ ૫૭ ટકા હતું, એમ રાજ્યના જળ સંસાધન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો, એ કોંકણ પ્રદેશના ડૅમ તેમની કુલ ક્ષમતાના ૬૬.૪૯ ટકા ભરાઈ ગયાં છે.
જળ સંસાધન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘રવિવાર સાંજ સુધીમાં રાજ્યનાં જળાશયોમાં પાણીનો જથ્થો ૪૯.૨૧ ટકા હતો. ગયા વર્ષે આ જ તારીખે આ જથ્થો ૫૭.૧૬ ટકા હતો.’ (૨૦૧૯ અને આ વર્ષના પાણીના સંગ્રહના આંકડાઓ વચ્ચેનો તફાવત લગભગ આઠ ટકા છે.)અધિકારીએ ઉમેર્યું હતું કે ‘૨૦૧૯ની બીજી ઑગસ્ટની તુલનામાં આ વર્ષે જળસંગ્રહના આંકડામાં ત્રણ ટકાનો તફાવત હતો, જે રવિવારે વધીને લગભગ આઠ ટકા થયો હતો.’
ADVERTISEMENT
ગયા સપ્તાહે કોંકણ પ્રદેશ હેઠળ આવતા સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢ, થાણે, પાલઘર જિલ્લાઓ તથા મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં મધ્યમ તીવ્રતાનો છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
કોંકણ પ્રદેશના ડૅમમાં તેમની ક્ષમતાના ૬૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો હતો, જે ગયા વર્ષની ૯ ઑગસ્ટે ૮૬.૩૨ ટકા ભરાયાં હતાં. એનાથી ઊલટું, ઔરંગાબાદ પ્રદેશમાં, જ્યાં ઘણા ભાગો બારેમાસ કોરા રહે છે ત્યાં ૪૩.૩૫ ટકા જળસંગ્રહ થયો હતો, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં આ પ્રમાણ ૨૩.૪૬ ટકા હતું.