ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ તો ફ્લાઇટની તો કન્ફર્મ જ સમજો
railofyની ટીમ
રેલવે ટિકિટ કન્ફર્મ થવાની રાહ જોવી હવે ભારે ચિંતાનો વિષય નહીં રહે. આઇઆઇટી, આઇએસબી અને આઇઆઇએમ પ્રોફેશનલોની એક ટીમે Railofy (રેલોફાય) નામની વેબસાઇટ શરૂ કરી છે, જે વેઇટિંગ-લિસ્ટમાં રહેલા અથવા તો આરએસી ટ્રેન પૅસેન્જરોને ‘ટ્રાવેલ ગૅરન્ટી’ પૂરી પાડે છે, જેનો અર્થ થાય છે કે જો તમારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ શકે તો તમે હવાઈ મુસાફરી કરી શકો છો.
આ પ્લૅટફૉર્મ વેઇટલિસ્ટેડ/આરએસી ટ્રેનના પૅસેન્જરોને નજીવી કિંમતે ટ્રાવેલ ગૅરન્ટી પૂરી પાડશે એમ Railofyના રોહન દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. જો પૅસેન્જરની રેલ ટિકિટ કન્ફર્મ થઈ જાય તો તેઓ અમારી પાસેથી રીફન્ડ મેળવ્યા વિના તેમની મુસાફરી યથાવત્ રાખી શકે છે. જો એમ ન થાય તો અમે સુનિશ્ચિત કરીએ છીએ કે પૅસેન્જર તેની ટ્રેનની ટિકિટ જેટલી જ કિંમતમાં ૨૪ કલાકની અંદર તેના ગંતવ્યસ્થાને પહોંચી જાય એમ તેમણે સમજાવ્યું હતું.
ADVERTISEMENT
આ સાહસમાં રોહન જ એકલો નથી, તેની સાથે આઇઆઇએમ (લખનઉ)નો ભૂતપૂર્વ વિદ્યાર્થી રિષભ સંઘવી તથા આઇઆઇટી બૉમ્બે તથા આઇએસબીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી વૈભવ સરાફ પણ છે.
railofy કેવી રીતે કામ કરે છે?
કોઈ પણ વેઇટિંગ-લિસ્ટ કે આરએસી ટિકિટ બુક કરાવનાર ટ્રેનનો પ્રવાસી railofy.com પર જઈને પીએનઆર-નંબર એન્ટર કરી શકે છે, જેના આધારે railofy રીફન્ડેબલ ટ્રાવેલ ગૅરન્ટી ફી દર્શાવશે. એક વખત ખરીદી કર્યા બાદ railofy ટ્રિપની ખાતરી આપે છે. જો ડિપાર્ચરના સમયે ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય (રેલવે ટિકિટની રકમ રીફન્ડ કરશે) તો railofy અગાઉ નિયત કરેલી કિંમતે પૅસેન્જરને ફ્લાઇટની ટિકિટ આપશે, જે ટ્રેનની તત્કાલ પ્રાઇસ હશે. બુકિંગ કર્યા બાદ કોઈ પણ તબક્કે railofy પૅસેન્જરને ટ્રાવેલ ગૅરન્ટી રદ કરવાની સ્વતંત્રતા પણ આપે છે.