માટુંગાનાં નેહલ શાહ અને દહિસરના હરીશ છેડા ટૉપ કૉર્પોરેટર
નેહલ શાહ અને હરીશ છેડા
મુંબઈગરાઓ દ્વારા તેમની નાગરિક સુવિધાઓ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકામાં ચૂંટીને મોકલાતાં નગરસેવક/ સેવિકાઓ લોકોની સમસ્યાઓને ઉજાગર કરી ઉકેલ લાવવામાં કેટલા ઍક્ટિવ છે એ બાબતે પ્રજા ફાઉન્ડેશને હાલમાં જ એક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં હાજરી, ગૃહમાં કરેલા મહત્ત્વના સવાલોની સંખ્યા અને ક્રિમિનલ રેકૉર્ડના આધારે માટુંગાનાં નગરસેવિકા નેહલ શાહ, દહિસરના હરીશ છેડા અને અંધેરી-ઈસ્ટના અનંત નર ટૉપ પર્ફોર્મર તરીકે ઊભરી આવ્યાં છે.
પ્રજા ફાઉન્ડેશનના આ અહેવાલમાં જણાવાયું છે કે નગરસેવકો દ્વારા પાલિકામાં કરાતા સવાલોમાં માત્ર ૩૪ ટકા સવાલો જ એવા હોય છે જે લોકોને સ્પર્શતા રોડ, પાણી, ગટર, કચરો અને અન્ય બાબતોના સવાલ હોય છે. કુલ સવાલોમાંથી આવી નાગરી સુવિધાને લગતા ૭૭૯ સવાલ નગરસેવકો દ્વારા કરાયા હતા, જે કુલ સવાલોના ૩૪ ટકા જ હતા. કુલ ૧૩ જેટલાં નગરસેવક-સેવિકાઓ છે જેમણે એક પણ સવાલ પૂછ્યો નથી, એમાં પણ ત્રણ નગરસેવિકા સુપ્રિયા મોરે (કૉન્ગ્રેસ), મનિષા રાહટે (એનસીપી) અને ગુલનાઝ કુરેશી (એઆઇએમઆઇએમ) ૨૦૧૭થી એક પણ સવાલ પૂછ્યો નથી.
ADVERTISEMENT
અહેવાલમાં વધુમાં કહેવાયું છે કે ૨૦૧૮માં નગરસેવકોની ગૃહમાં ૮૧ ટકા, ૨૦૧૯માં 78 ટકા હાજરી હતી જે ૨૦૨૦માં ઘટીને હવે 73 ટકા થઈ છે. જે ટૉપ ૧૦ નગરસેવકો હતા તેમના વૉર્ડના ૮૦ ટકા નાગરિકોએ કહ્યું હતું કે તેમના જીવનસ્તરમાં સુધારો આવ્યો છે, જ્યારે એ સામે સૌથી નીચે પર્ફોર્મન્સ ધરાવનાર ૧૦ નગરસેવકોના વૉર્ડના ૯૦ ટકા લોકોએ કહ્યું હતું કે તેમનું જીવનધોરણ આ સમય દરમિયાન કથળ્યું છે.