દૂધના ટેકાના ભાવ વધારવાની માગણી સાથે બીજેપીનું આંદોલન
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં દૂધનાં ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય કરતા લોકો માટે દૂધના ટેકાના ભાવ વધારવાની માગણી સાથે રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષ બીજેપીએ ગઈ કાલે આંદોલન કર્યું હતું. ડેરી ઉદ્યોગ સાથે વિવિધ સ્તરે સંકળાયેલા લોકોએ રાજ્યનાં વિવિધ સ્થળોએ સૂત્રોચ્ચાર સહિત રસ્તા રોકો આંદોલન કરવા ઉપરાંત રસ્તા પર દૂધ ઢોળી દેવાના બનાવો પણ બન્યા હતા. આંદોલનકારીઓની મુખ્ય માગણી સબસિડીની રકમ વધારીને ૧૦ રૂપિયા કરવી અને ટેકાનો ભાવ વધારીને ૩૦ રૂપિયા કરવાની છે. બીજેપીના રાજ્ય એકમના વડા ચંદ્રકાંત પાટીલે મુખ્ય પ્રધાનને ડેરી ઉદ્યોગ વિશે ઝાઝી ગતાગમ નહીં હોવાનું જણાવ્યું હતું. પક્ષના અન્ય નેતા હરિભાઉ બાગડેએ મિલ્ક પાઉડરની આયાતના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ આઘાડી સરકારના ઘટક પક્ષો કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પર મૂક્યો હતો.
કેટલાક દિવસો પહેલાં દૂધના ટેકાના ભાવ વધારવાની માગણી સાથે સ્વાભિમાની શેતકરી સંઘટના, રયત શેતકરી સંઘટના અને ઑલ ઇન્ડિયા કિસાન સભાના ઉપક્રમે આંદોલન કરવામાં આવ્યું હતું. દરમ્યાન ડેરી ઉદ્યોગની સમસ્યાઓ બાબતે બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ટીકાઓની ઝડી વરસાવી હતી. પાટીલે જણાવ્યું હતું કે ‘હું જાણવા માગું છું કે મુખ્ય પ્રધાને દૂધ વ્યવસાયીઓની સમસ્યાઓની રજૂઆત માટે કેટલી વખત દિલ્હીની મુલાકાત લીધી? જો મુખ્ય પ્રધાનને ડેરી ઉદ્યોગના વિષયોમાં સમજ પડતી ન હોય તો તેમણે અજિત પવાર કે બાળાસાહેબ થોરાત જેવા નેતાઓને મોકલવા જોઈએ. તે નેતાઓને ડેરી ઉદ્યોગ વિશે સારી જાણકારી અને વિષયની ઊંડી સમજ પણ છે.’