આ વર્ષે થનારી એસએસસી અને એચએસસીની પરીક્ષાનું શું?
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને લીધે આ વર્ષે વિદ્યાર્થીઓએ ક્લાસમાં બેસીને નહીં, પણ ઑનલાઇન માધ્યમ દ્વારા શિક્ષણ લેવું પડ્યું છે, એવામાં છ-સાત મહિના પતી ગયા હોવાથી પેરન્ટ્સ અને ટીચરોને ચિંતા સતાવી રહી છે કે આ વર્ષે થનારી એસએસસી અને એચએસસીની પરીક્ષાનું શું થશે?
સામાન્યપણે દસમા અને બારમાની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાતી હોય છે અને આ સમયગાળામાં પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી હોય છે, પણ કોરોનાને લીધે આ વર્ષે આ સંદર્ભે કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી, જેના કારણે પેરન્ટ્સ અને ટીચરોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા વર્ષની પરીક્ષા જે પ્રમાણે યુનિવર્સિટી લેવલ પર લેવાની છે એ જોતાં બોર્ડની પરીક્ષા કઈ રીતે યોજવામાં આવશે એ સંદર્ભે પેરન્ટ્સ, ટીચરને બોર્ડ પાસેથી સ્પષ્ટતા જોઈએ છે.
ADVERTISEMENT
આ સંદર્ભે મુખ્ય પ્રધાન અને શિક્ષણપ્રધાનને પત્ર લખતાં મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ પરિષદના અનિલ બોર્નારેએ કહ્યું કે ‘કોરોનાના લીધે આ વર્ષે થનારી બોર્ડ પરીક્ષા સંદર્ભે ઘણાં બધાં કન્ફ્યુઝન છે. વિદ્યાર્થીઓ માટે આ કન્ફ્યુઝન દૂર કરવું ઘણું જરૂરી છે. તેઓ લાંબા સમયથી પોતાની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કોઈ વિકલ્પ નથી અને પોતાના કરીઅર પર તેમની પરીક્ષાનો આધાર છે.
પોતાના પત્રમાં સરકારને સલાહ આપતાં બોર્નારેએ કહ્યું કે ‘સંભવતઃ બોર્ડની પરીક્ષાઓ મોકૂફ કરી શકાય છે, પણ પૅટર્નમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો જોઈએ, કારણ કે છેલ્લી ઘડીએ કરવામાં આવેલા ફેરફારને લીધે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ શકે છે. જો બોર્ડના વિદ્યાર્થીઓ નૉન સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં પાછળ પડશે તો કૉલેજના ઍડ્મિશન માટે તેમને તકલીફ આવી શકે છે. પ્રૅક્ટિકલ અને ઓરલ એક્ઝામિનેશન કેવી રીતે યોજવી એ બાબતે સરકારે સ્પષ્ટતા આપવી પડશે.’