ફ્લૅટનું ગેરકાયદેસર કામ કાયદેસર કરાવવા કંગના હવે બીએમસીને અરજી કરશે
અભિનેત્રી કંગના રનોટ
અભિનેત્રી કંગના રનોટ તેના ખાર સ્થિત ફ્લૅટોમાં ગેરકાયદે ફેરફાર માટે કાયદેસર માન્યતા મેળવવા મુંબઈ મહાનગરપાલિકાને અરજી કરનાર હોવાનું વડી અદાલતમાં જણાવવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ ત્રણ ફ્લૅટો ગેરકાયદે રીતે ભેગા કરવા માટે કરેલાં બાંધકામ-તોડકામ બદલ ગયા ડિસેમ્બર મહિનામાં આપેલી નોટિસને પડકારતી કંગના રનોટની અરજી રદબાતલ કરવાના સિવિલ કોર્ટના નિર્ણયને વડી અદાલતમાં અપીલ દ્વારા પડકાર્યો હતો. એ અપીલ પાછી ખેંચવાની પરવાનગી કંગના રનોટના વકીલ બિરેન્દ્ર સરાફે માગી હતી.
અૅડ્વોકેટ બિરેન્દ્ર સરાફે અપીલ પાછી ખેંચવાની પરવાનગી માગતી વેળા મુંબઈ મહાનગરપાલિકાને અરજી કરવા વિશે જણાવ્યું હતું. મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવાણે અપીલ પાછી ખેંચવાની પરવાનગી આપતાં જણાવ્યું હતું કે ‘ફ્લૅટોમાં ફેરફાર માટે કાનૂની માન્યતાની અરજી પર મહાનગરપાલિકા નિર્ણય ન લે ત્યાં સુધી અને ત્યાર પછી બે અઠવાડિયાં આકરાં પગલાં નહીં લેવાનો આદેશ આપવામાં આવે છે. અરજદાર (કંગના રનોટ) તેમના ફ્લૅટોમાં ફેરફારને કાયદેસર માન્યતા માટે ચાર અઠવાડિયાંમાં મુંબઈ મહાનગરપાલિકાને અરજી કરી શકે છે. એ અરજી બાબતે મહાનગરપાલિકાએ ઝડપથી નિર્ણય લેવાનો રહેશે.’