મુંબઈ: સુરેશ વાઘેલાના મર્ડર બદલ તેમની પત્ની-દીકરીની ધરપકડ
સુરેશ વાઘેલા
નાલાસોપારા-વેસ્ટના હનુમાનનગરમાં આવેલા વિની રેસિડેન્સી નામની બિલ્ડિંગમાં રહેતા ૪૬ વર્ષના સુરેશ વાઘેલાની ૩૯ વર્ષની પત્ની જસુ વાઘેલા અને ૨૩ વર્ષની વિધવા દીકરી મોનિકા મારુને નાલાસોપારા પોલીસે શનિવારે રાતના સુરેશ વાઘેલાના મર્ડરના આરોપસર ધરપકડ કરી હોવાનો શૉકિંગ બનાવ સામે આવ્યો છે. ચાર લાખ રૂપિયાના ચેક બાબતે અને પત્નીના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધને લઈને બોલાચાલી થતી હતી. ૨૭ ઑગસ્ટના ઝઘડો ખૂબ વધી ગયો અને તેમના ઘરની વિન્ડોનો કાચ સુરેશ વાઘેલાને લાગતાં મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરેશભાઈ દ્વારા લખાયેલી ડાયરી પોલીસના હાથમાં આવી છે જેમાં તેમણે તેમની સાથે બનતા દરેક બનાવો વિશે લખ્યું છે. આ બનાવમાં પોલીસે પહેલાં એડીઆર અને હવે કલમ ૩૦૨,૩૪ પ્રમાણે કેસ નોંધીને બન્નેની ધરપકડ કરી છે.
સુરેશ વાઘેલા માટુંગામાં બીએમસીમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હતા. બનાવના દિવસે મોડી રાત સુધી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જસુ અને મોનિકાએ સુરેશભાઈને વિન્ડો પાસે જોરદાર ધક્કો દેતાં વિન્ડોનો કાચ તૂટ્યો અને એમાંથી એક કાચ તેમના લંગ્સમાં ઘૂસી ગયો હતો. હૉસ્પિટલમાં લઈ જતાં તેમને મૃત જાહેર કરાયા હતા. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પછી પોલીસે તેમની તપાસ કરતાં બન્નેએ કબૂલાત કરી હતી.
ADVERTISEMENT
સુરેશ વાઘેલાના દીકરાનું શું કહેવું?
મારા પપ્પા ક્યારેય અમારું નામ આ રીતે ન લઈ શકે, તેમને કોઈએ ચડાવ્યા હશે એમ કહેતાં સુરેશ વાઘેલાના દીકરા મેહુલ વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારથી મારા મમ્મીને પપ્પા મારતા હોય એ હું જોતો આવ્યો છું. પપ્પા એકાદ મહિનાથી ડ્રિન્ક કરતા નહોતા પરંતુ એ દિવસ દારૂ પીને આવ્યા હતા. પપ્પા બીએમસીમાં સફાઈ કર્મચારી હતા પરંતુ અનેક મહિનાઓથી કામ પર જતા ન હોવાનું અમને જણાયું હતું. બહેન મોનિકાનો પતિ લગભગ બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હોવાથી તે અમારી સાથે જ રહેતી હતી. તે કામ કરતી હોવાથી અમારું ઘર ચાલતું હતું. પપ્પા ઘરેથી જતાં રહ્યા હોવાથી ફેબ્રુઆરી મહિનામાં અમે મિસિંગની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ઝઘડો કરીને બધા એક થઈ જતા હતા. પરંતુ મમ્મી, બહેન મારા પપ્પા સાથે મર્ડર જેવું કાવતરું કરી શકતા નથી. તેમના વગર હું એકલો પડી ગયો છું.’
ફરિયાદીનું શું કહેવું છે?
સુરેશ વાઘેલાના મૃત્યુ બાદ મહાલક્ષ્મી રહેતા સુરેશ વાઘેલાના ભાણેજ વિકી રાઠોડે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિશે તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુરેશભાઈ મારા મામાના દીકરા છે એથી લૉકડાઉનથી મારા ઘરે રહેતા હતા અને થોડા દિવસ પહેલાં જ ત્યાં ગયા હતા. જસુબહેનની મોટી બહેનની દીકરીએ રૂમના પાંચ લાખ ૨૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેની નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે અને કોર્ટમાં એની ૨૨ ઑગસ્ટના તારીખ પણ પડી હતી, પરંતુ ફરી ૩૧ ઑગસ્ટના કોર્ટની તારીખ અપાઈ હતી. તેમને ચૅક મળવાનો હતો પરંતુ આ ચૅક જસુબહેનને તેમના નામે જોઈતો હતો. પૈસાની વાતથી લઈને તેમને અને તેમની પત્ની, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મુદ્દાના કારણે જ એ દિવસે બનાવ બન્યો. સુરેશભાઈને વર્ષોથી ડાયરી લખવાની ટેવ છે. તેમની ડાયરી તેમના મૃત્યુ બાદ પોલીસને સોંપી દીધી હોવાથી પોલીસે કેસ નોંધીને દીકરી અને પત્નીની ધરપકડ કરી છે.’
પોલીસનું શું કહેવું છે?
આ કેસ વિશે તપાસ કરતાં અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર માનેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મા અને દીકરીની ધરપકડ કરી છે અને વસઈ કોર્ટમાં તેમને પાંચ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો છે. સુરેશ વાઘેલાની ડાયરી ગુજરાતી ભાષામાં છે અને એનું ટ્રાન્સલેશન કરવામાં આવી રહ્યું છે. ચૅકની વાતને લઈને અને જસુના અન્ય સાથે સંબંધ હોવાની સુરેશને શંકા પણ હોવાથી તેમના વચ્ચે ઝઘડા થતા હતા. સુરેશના સગાંસંબંધીઓની અમે પૂછપરછ કરીશું. કાચના ટુકડાને જપ્ત કરીને હાલમાં તપાસ ચાલી રહી છે.