એજ્યુકેશન ઑનલાઇન તો એક્ઝામ પણ ઑનલાઇન
પરીક્ષા માટે અભ્યાસ સંતોષકારક પ્રમાણમાં કર્યો છે કે નહીં અને પેપર સમયસર પૂરું કરી શકાશે કે નહીં એની ચિંતા પણ વિદ્યાર્થીઓને સતાવે છે. (પ્રતીકાત્મક તસવીર)
એસએસસીની પરીક્ષા એપ્રિલ મહિનામાં અપેક્ષિત છે ત્યારે બાવન ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોવાનું અને ૭૨ ટકા વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોવાનું ચિત્ર એક સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. કુર્લાની ગાંધી બાળમંદિર સ્કૂલના શિક્ષક જયવંત કુલકર્ણીએ મુંબઈ, નવી મુંબઈ અને થાણેની ૧૦૦ સ્કૂલોના ૧૦૫૦ વિદ્યાર્થીઓના કરેલા સર્વેક્ષણમાં અનેક નોંધપાત્ર બાબતો પ્રકાશમાં
આવી છે. એમાં ૬૮ ટકા વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું છે કે જો આખું વર્ષ ભણતર ઑનલાઇન કર્યું હોય તો પરીક્ષા પણ ઑનલાઇન લેવી જોઈએ. ૮૦ ટકા વિદ્યાર્થીઓને સ્ટેટ એજ્યુકેશન બોર્ડની કાઉન્સેલિંગની વ્યવસ્થા વિશે કંઈ
ADVERTISEMENT
ખબર નથી.
જયવંત કુલકર્ણીના સર્વેક્ષણની વિગતો અનુસાર માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓમાં ૭૨ ટકાને માર્ગદર્શનની જરૂર લાગે છે. ૩૧.૮ ટકા વિદ્યાર્થીઓને પાછળ રહી જવાની અને કૉલેજમાં પસંદગીની શાખા કે પસંદગીના વિષયમાં પ્રવેશ મળશે કે નહીં એની અવઢવ સતાવે છે. અંગ્રેજી વિષયના શિક્ષક જયવંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓની માનસિક તાણને સમજી શકે અને પરીક્ષા પહેલાં રાહતનાં પગલાં લેવા વિચારે એ ઉદ્દેશથી સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.