મ્હાડા હવે 3 થી 4 લાખના નેનો ઘર બનાવશેઃ જિતેન્દ્ર આવ્હાડ
જિતેન્દ્ર આવ્હાડ
મ્હાડા પાસે હાલ ડેવલપ કરવા માટે ઓછી જમીન બચી છે, એથી ખાનગી જમીન લઈ અથવા નો-ડેવલપમેન્ટ ઝોનની જમીન છૂટી કરી મ્હાડા તેને ડેવલપ કરી ગરીબોને પરવડે એવા નેનો ઘર બનાવે જેની કિંમત ૩ થી ૪ લાખ રૂપિયા રખાય એવી વિચારણા હાલ રાજ્ય સરકાર કરી રહી છે એમ રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું. આ માટે મ્હાડાના અધિકારીઓને એ બદલ સૂચના પણ અપાઈ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુંબઈમાં જમીનની અછતના કારણે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટમાં ઘર લેવાનું સામાન્ય મુંબઈગરાનું સપનું હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે તેઓ મ્હાડાનાં ઘરોનો વિકલ્પ પસંદ કરે છે, પણ એમાં ઓછી જગ્યાઓ સામે લાખો અરજી આવતી હોવાથી અનેક લોકોને ઘર મળી શકતા નથી માટે મુંબઈ સહિત રાજ્યના ગ્રામીણ વિસ્તારની સરકારી જમીનો અને નોન ડેવલપમેન્ટ ઝોનની જમીન મ્હાડાને આપવાનું વિચારાઈ રહ્યું છે. સંબંધિત ડિપાર્ટમેન્ટોની પરવાનગી મળ્યા બાદ જ આ વિશે નિર્ણય લઈ મ્હાડાને એ જગ્યા અપાશે. એ ઘરની કિંમત ૩ થી ૪ લાખ રાખવામાં આવે એવો વિચાર છે એમ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું.