સીએએના વિરોધમાં વિશાળ મોરચો
નાગરિકતા સંશોધન કાયદાનો શાંતિપૂર્વક વિરોધ કરતા મિલ્લત નગરના રહેવાસીઓ. તસવીર : સમીર માર્કન્ડે.
કેન્દ્ર સરકારના સીએએના કાયદાના વિરોધમાં ગઈ કાલે અંધેરીના મિલ્લતનગરમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન થયાં હતાં. ‘હમ ભારત કે લોગ’ના બૅનર હેઠળના આ વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો, ઍક્ટિવિસ્ટો, બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રીના કલાકારો સામેલ થયા હતા.
સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત બાદ અંધેરીના મિલ્લતનગરમાં રહેતા મુસ્લિમો તેમ જ બાજુના યમુનાનગર, લોખંડવાલા અને ઓશિવરાના લોકો પણ આ પ્રોટેસ્ટમાં જોડાયા હતા. મંચ પર ‘હમ ભારત કે લોગ’ની નૅશનલ કમિટીના સભ્યો ફેરોઝ મીઠીબોરવાલા, વર્ષા વિજયવિલાસ સહિતના લોકો સાથે બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારો જોવા મળ્યા હતા.
આ સમયે સીએએનો વિરોધ કરી રહેલાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર હતા. સાવધાન ઇન્ડિયા શોના ભૂતપૂર્વ હોસ્ટ સુશાંત સિંહ, બૉલીવુડ અભિનેતા મોહમ્મદ ઝિશાન અયુબ વગેરેએ તેમના વિચાર રજૂ કર્યા હતા.
ADVERTISEMENT
અંધેરી-વેસ્ટમાં મિલ્લત નગર કૉલોનીમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન સંબોધન કરતો સુશાંત સિંહ.
આ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થનારા તમામ લોકોએ ભારતને મોદીના પંજામાંથી બચાવવાની લોકોને અપીલ કરી હતી. દેશનાં ૧૧ રાજ્યમાં સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ ન કરવાની વાત પણ તેમણે આ સમયે કરી હતી. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકાર આવતાં મુસ્લિમો માટે શિવાજી પાર્કના દરવાજા પણ પ્રોટેક્ટ માટે ખૂલવાની આશા કેટલાકે વ્યક્ત કરી છે.