આને કહેવાય જવાબઃ દુષ્યંત ચૌટાલા અને હૃતિક રોશન વચ્ચે કઈ સામ્યતા છે?
દુષ્યંત ચૌટાલા
હરિયાણામાં દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પદ માટે લગભગ નિશ્ચિત છે અને એ નિશ્ચિત થયા એ જ સમયથી મનમાં એક વાત ઘુમરાઇ રહી હતી, આને શું ગણવું? જે પાર્ટીના અસ્તિત્વ પર પણ પ્રશ્ન હતો, એ પાર્ટી બીજેપી અને કૉન્ગ્રેસ બન્નેની જીતની રેસની આડે ટશન સાથે ઊભી રહી ગઈ અને જબરદસ્ત પરિણામ લાવીને દેખાડી દીધું. એક આડ વાત કરી લઈએ, પાર્ટી બની હોય અને પહેલી વખત અદ્ભુત પ્રદર્શન કર્યું હોય એવું અગાઉ અનેક કિસ્સાઓમાં બન્યું છે, પણ એ પર્ફોમન્સને ટકાવી રાખવાનું કામ અઘરું છે. દુષ્યંત સામે પણ આ જ વાત ઊભી છે. તેણે પાર્ટીનું પહેલી વખતનું પર્ફોમન્સ દેખાડી દીધું, શ્રેષ્ઠ રીતે સૌ કોઈની સામે મૂકી દીધું, પણ હવે આ જ પરિણામ એણે અકબંધ રાખવાનું છે અને દુષ્યંત એ કરી શકે એવું કહેવામાં કોઈ ખચકાટ અત્યારના તબક્કે તો મને થતો નથી. આ માટે એક નહીં અનેક કારણો છે.
જ્યારે પણ જેના પિતાએ અપમાન સહન કર્યા છે, જેના પિતાએ નાલેશી કે પછી નિષ્ફળતા જોઈ છે એ સૌના સંતાનોએ શ્રેષ્ઠતમ રીતે પરિણામ લાવવાનું કામ કર્યું છે. ચેતેશ્વર પુજારાને પણ આ વાત લાગુ પડે છે તો સાથોસાથ હૃતિક રોશન અને એ. આર. રહેમાન સુધી આ વાત લંબાય છે. રહેમાનની સક્સેસ પાછળ પણ રિવેન્જ બોલે છે અને હૃતિક રોશનની સક્સેસ પાછળ પણ રાકેશ રોશનની અલ્પ સફળતા જવાબદાર છે. ચેતેશ્વર પુજારા આજે ટીમ ઇન્ડિયાની વૉલ ગણાય છે, પણ એ વૉલ બનવાની ક્ષમતા તેનામાં તેના પપ્પા અરવિંદ પુજારાએ ભરી હતી અને ભરવાની ક્ષમતા નિષ્ફળતા કે પછી અવગણનાને આભારી હતી. ચેતેશ્વર પુજારા, હૃતિક રોશન, એ. આર. રહેમાન અને દુષ્યંત ચૌટાલા વચ્ચે આ જ સામ્યતા છે. અજય ચૌટાલા અત્યારે જેલમાં છે, તિહાર જેલમાં સજા ભોગવી રહેલાં અજય ચૌટાલાએ ગાઈ-વગાડીને રાડો પાડી હતી કે એનો કોઈ વાંક નથી, પણ એમ છતાં પુરાવાઓના આધારે અને અમુક પુરાવાઓના અભાવે અજય ચૌટાલાને સજા થઈ. કાયદાકીય વાત છે એટલે એની ચર્ચામાં ઊંડા ઊતરવાનું આવતું નથી, પણ હા, એટલું કહેવું જ પડે કે વિદેશ ભણવા જવાને બદલે અજય ચૌટાલાની અરેસ્ટ પછી દુષ્યંત ચૌટાલાએ દેશમાં જ રહેવાનું પસંદ કર્યું અને તેણે અલગ ચીલો ચાતરીને પાર્ટી બનાવી અને એ પાર્ટીએ આજે ધરખમ સ્તરનું પરિણામ લાવીને દેખાડી દીધું.
ADVERTISEMENT
જનનાયક જનતા પાર્ટી માટે આગળ એક વાત કહી દીધી છે. પોલિટિકલ પાર્ટીને એ વાત જરા પણ લાગુ નથી પડતી કે પુત્રના લક્ષણ પારણેથી. ના, જરા પણ લાગુ ન પડે આ વાત. અહીં એ જ વાત સમજાય કે નિવડ્યે ખબર પડે. આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારે ઘરે-ઘરે પેંડા વેચાયા હતા પણ પછી એનું શું થયું એ સૌ કોઈની સામે છે. આમ આદમી પાર્ટીની કફોડી હાલત પણ સૌ કોઈ જાણે છે અને અરવિંદ કેજરીવાલ કેવા સંજોગો વચ્ચે અથડાઈ રહ્યા છે એ પણ સૌ કોઈ જાણે છે. આ પરિસ્થિતિ જનનાયક જનતા પાર્ટી અને દુષ્યંત ચૌટાલાએ ન જોવી પડે એવી અપેક્ષા રાખીએ. કારણ કે દુષ્યંત ચૌટાલા જેવા યુવાનેતાઓ જ ભારતનું ભવિષ્ય છે, ભારતના વિકાસનું પ્રતીક છે.