ઔરંગાબાદ: દૌલતાબાદ ફોર્ટના સિક્યૉરિટી ગાર્ડ 150 વાંદરાઓને જમાડે છે
પ્રતીકાત્મક તસવીર
ઔરંગાબાદમાં આવેલા દૌલતાબાદ ફોર્ટ પાસે વાંદરાઓને જમવાનું આપતા એક સિક્યૉરિટી ગાર્ડની માનવતાને આજે તમામ લોકો શાબાશી આપી રહ્યા છે. દૌલતાબાદ ફોર્ટ ટૂરિસ્ટ માટેનું જાણીતું સ્થળ છે. અહીં રહેતા ૧૫૦ જેટલા વાંદરાઓ વેસ્ટેજ ફૂડથી પોતાનું પેટ ભરતા હતા, પણ હવે લૉકડાઉનના કારણે ફોર્ટ પૂર્ણપણે બંધ થઈ ગયો છે જેના કારણે વાંદરાઓને ખાવાની વ્યવસ્થા થતી નથી. દૌલતાબાદના અમુક સિક્યૉરિટી ગાર્ડ્સ આ ભૂખ્યા વાંદરાઓને ખાવાનું આપી રહ્યા છે.
ફોર્ટના સિક્યૉરિટી ગાર્ડ મહેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉન શરૂ થયાના બેત્રણ દિવસ પછી જ્યારે અમે ફોર્ટ પરિસરમાં લંચ લઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં વાંદરાઓએ અમને ઘેરી લીધા અને અમારું લંચ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અમે નિર્ણય લીધો કે વાંદરાઓને ખાવાનું આપીશું. નજીકના કુલતાબાદ ટાઉન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા મુરલીધર પવારે બિસ્કિટ અને મગફળીની વ્યવસ્થા કરી આપી હતી. તહસીલદારે પણ બિસ્કિટની વ્યવસ્થા કરી આપી હતી. કુલતાબાદનાં એક રહીશ ભારતી સાઓજીએ ૨૦ દિવસ સુધી બસો રોટલી બનાવીને અહીં પહોંચાડી હતી. સ્થાનિક રહીશોએ મોટી માત્રામાં કેળાંની વ્યવસ્થા પણ કરી આપી હતી.’