નારાયણ રાણે NCPની નજીક આવી રહ્યા છે?
ફાઈલ ફોટો: નારાયણ રાણે
આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે નારાયણ રાણે NCPનો હાથ ઝાલશે એવી ચર્ચાઓએ ગઈ કાલે જોર પકડ્યું હતું. સ્ટ્રૉન્ગમૅન તરીકે ઓળખાતા NCP સુપ્રીમો શરદ પવાર કોંકણ વિસ્તારની પોતાની મુલાકાત વખતે કણકવલીમાં આવેલા નારાયણ રાણેના નિવાસસ્થાને તેમને મળવા પહોંચી ગયા હતા. કોંકણમાં સારુંએવું પ્રભુત્વ ધરાવતા નારાયણ રાણેએ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ છોડીને પોતાની પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષની સ્થાપના કરી હતી.
શરદ પવાર અને નારાયણ રાણેએ આ મુલાકાતને ઔપચારિક ગણાવતાં કહ્યું હતું કે રત્નાગિરિ તરફ જતી વખતે કણકવલી આવતું હોવાથી શરદ પવાર મળવા આવ્યા હતા, પરંતુ આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું હતું કે બન્ને વચ્ચે ૪૫ મિનિટ વાત થઈ હતી અને ત્યારે તેમના પુત્ર નીતેશ રાણે પણ હાજર હતા. આગામી દિવસોમાં બન્ને વચ્ચે વધુ મુલાકાતો થઈ શકે છે. NCP સિંધુદુર્ગ-રત્નાગિરિની લોકસભા બેઠક પરથી નારાયણ રાણેને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે, જ્યારે કૉન્ગ્રેસ છોડીને ગ્થ્ભ્ની નજીક આવેલા નારાયણ રાણે શિવસેનાને મળી રહેલા મહત્વથી નારાજ છે.