મરાઠા ક્વોટા માટે મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ : થોરાત
બાળાસાહેબ થોરાત
મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં પોતાનો મત રજૂ કરવા તમામ પ્રયાસ કરશે, એમ રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે ગઈ કાલે જણાવ્યું હતું.
નાગપુરમાં એક પત્રકાર-પરિષદને સંબોધન કરતાં તેમણે રાજ્ય સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં નિષ્ફળ રહી છે એવા શિવ સંગ્રામ પાર્ટીના નેતા વિનાયક મેટેના આક્ષેપોને રદિયો આપ્યો હતો.
ADVERTISEMENT
થોરાતે કહ્યું કે મરાઠા ક્વોટા વિશેની પ્રધાનમંડળની સબ-સમિતિ જેનો તેઓ હિસ્સો છે અને જેનું નેતૃત્વ રાજ્ય પ્રધાન અને પાર્ટીના સહયોગી અશોક ચવાણ કરે છે એ સતત તમામ હોદ્દેદારોને મળી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે ૧૫ જુલાઈએ કહ્યું હતું કે તે ૨૭ જુલાઈથી મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપવાની મહારાષ્ટ્ર કાયદાને પડકારતી અરજીઓ પર વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા રોજેરોજ સુનાવણી શરૂ કરશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પ્રધાનો સાથે વધુ વાતચીત ન કરતા હોવાના પ્રશ્નના જવાબમાં થોરાટે કહ્યું કે એ સત્ય નથી.
થોરાતે કહ્યું હતું કે અમે નોંધ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી મુખ્ય પ્રધાન હંમેશાં અમારી સમસ્યા સાંભળીને સમજવાનો પ્રયત્ન કરે છે. તેમની સાથે અમારો સારો મેળમિલાપ છે.