ઉત્તર પ્રદેશનો જલ્લાદ પવન કુમાર નિર્ભયાના 4 નરાધમોને ફાંસી આપવા તૈયાર
પ્રતીકાત્મક તસવીર
પુત્રી નિર્ભયાને ન્યાય મળે એવા નિર્ણયથી આખો દેશ ખુશખુશાલ છે. આવી સ્થિતિમાં નિર્ભયાની ગૅન્ગરેપ બાદ હત્યા કરનાર હત્યારાઓને ફાંસી આપનાર તે વ્યક્તિ (પવન હેંગમૅન) પણ ખૂબ જ ખુશખુશાલ છે કેમ કે તેઓ જ નિર્ભયાના ૪ નરાધમોને જો કોઈ કાનૂની અડચણ નહીં આવે તો બાવીસમી જાન્યુઆરીએ સવારે ૭-૦૦ વાગ્યે તેમને ફાંસીના માંચડે લટકાવી દેશે. તિહાડ જેલ-પ્રશાસને યુપી જેલ રાજ્યપ્રધાનને પત્ર લખી મેરઠ જેલના જલ્લાદ પવનની સેવાઓ લેવાની પરવાનગી માગી હતી.
આ સાથે જ જેલ રાજ્યપ્રધાને પણ આ માટે મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ જેલ રાજ્યપ્રધાન જયકુમાર સિંહે કહ્યું કે નિર્ભયા બળાત્કાર કેસમાં ગુનેગારોને ફાંસી આપવા માટે તિહાડ જેલ-પ્રશાસન દ્વારા મેરઠના જલ્લાદ પવન કુમારની સેવાઓ લેવા માટે પત્ર લખાયો હતો. દોષીઓને ફાંસી આપવાનો દિવસ નક્કી થયા બાદ મેરઠ જેલના વહીવટી તંત્રને અમલદાર પવનને આ કાર્ય માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે સાત વર્ષ પહેલાં દેશમાં આતંક મચાવનારા નિર્ભયા ગૅન્ગરેપ કેસના દોષીઓને ફાંસી આપવા માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે સાંજે ૪.૪૮ વાગ્યે આ કેસમાં ચારેય દોષીઓ માટે ડેથ વૉરન્ટ જારી કર્યું હતું.
એ મુજબ ૨૨ જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે નિર્ભયાના દોષીઓને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે. આ નિર્ણય બાદ તિહાડમાં ગુનેગારોની દેખરેખ વધારવામાં આવી છે. એ જ સમયે દોષીઓના વકીલોએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પાસેથી ક્યુરેટિવ અરજી અને દયાની અરજી દાખલ કરશે.