કોરોનાના કાળમાં તમારી જોબ છુટી ગઈ હોય તો ચિંતા ન કરતા
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસ મહામારીને લીધે લૉકડાઉન થતા દેશમાં ઘણા બધા લોકોના પગાર ઉપર કાપ મૂકાયો છે જ્યારે અમૂક ક્ષેત્રોમાં મોટા ભાગના લોકોએ નોકરી ગુમાવી છે. આવા નાગરિકોને મદદ કરવા માટે સરકારે એક યોજના તૈયાર કરી છે. કર્મચારી રાજ્ય બીમા નિગમ દ્વારા એક યોજના ‘અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ (ABVKY) લૉન્ચ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત જે વ્યક્તિની નોકરી કોરોના સંકટને લીધે ગઈ છે તેને બેરોજગારી ભથ્થુ મળશે. આવા લોકોને સરકાર ત્રણ મહિના સુધી પગારના 50 ટકા રકમ આપશે. આ રકમ એવા નાગરિકોને મળશે જેમની નોકરી 24 માર્ચથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં છુટી હોય.
ADVERTISEMENT
એક વાત એ પણ છે કે કર્મચારી રાજ્ય બીમા નિગમ બોર્ડે બેરોજગારી ભથ્થામાં વધારો કર્યો છે. પહેલા પગારના 25 ટકા મળતા હતા, જેને વધારીને 50 ટકા કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરનારા 40 લાખથી પણ વધુ કર્મચારીઓને મળશે. બોર્ડે પાત્રતા માપદંડમાં પણ રાહત આપી છે.
તાજેતરમાં જ ESICએ આ યોજનાને 30 જૂન, 2021 સુધી લંબાવવાનો નિર્ણય પણ લીધો હતો. તેમ જ પહેલા નોકરી છુટવાના 90 દિવસ બાદ ભથ્થાની ચૂકવણી થતી હતી પરંતુ હવે આ સમયમર્યાદા ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે.
ESICના કહેવા પ્રમાણે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે વ્યક્તિએ બ્રાન્ચ ઑફિસમાં કલેમ કરવાનો રહેશે. નવા નિયમ મુજબ બેરોજગારી ભથ્થુ સીધો વ્યક્તિના બૅન્ક ખાતામાં જમા થશે.