ખેડૂત આંદોલનઃ પંજાબની દાદી ઉપર કમેન્ટ આપતા કંગનાને લીગલ નોટિસ
તસવીર સૌજન્યઃ જાગરણ
ખેડૂત આંદોલનમાં પંજાબથી બે વૃદ્ધ મહિલાઓ જેમની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે તેઓ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા છે. બઠિંડાની મહિન્દ્ર કૌર અને બરનાલાની જનગીર કૌર ખેડૂત આંદોલનના પોસ્ટર બની ચૂક્યા છે. આ ઉંમરે આટલી ઠંડીમાં વિરોધ-પ્રદર્શનમાં સામેલ થઈને તેઓ દરેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે. જોકે અભિનેત્રી કંગના રનોટે સોશ્યલ મીડિયામાં તેમની મજાક કરી હતી જે તેને મોંઘી પડી શકે છે. જીરકપુરના એડવોકેટ હાકમ સિંહે કંગના રનોટને લીગલ નોટિસ ફટકારી છે.
કૃષિ કાયદા વિરુદ્ધ સપ્ટેમ્બર મહિનાથી પંજાબમાં આંદોલનની શરૂઆત થઈ છે. ત્યારથી બંને મહિલાઓ આંદોલનમાં ભાગ લઈ રહી છે. મહિન્દર સિવાય દાદી જગનીર કૌર પણ ખેડૂત આંદોલન માટે પોસ્ટર બન્યા છે. બરનાલાના આ દાદીની માંગ છે કે, સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારવી જોઈએ અને કાયદો પરત લઈ લેવો જોઈએ.
ADVERTISEMENT
મહિન્દર કૌરે કંગના રનૌતને આપ્યો જડબા તોડ જવાબ નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમની તસવીર શેર કરીને લખ્યું હતું કે, આ દાદી શાહિન બાગ ગયા હતા અને હવે પૈસા માટે અહીં આવી ગયા. કંગનાએ શાહિનબાગના દાદી બિલ્કિસની મહિન્દર કૌર સાથે સરખામણી કરી દીધી હતી. કંગનાની આ ટ્વિટ પર દાદી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, તેઓ 13 એકર જમીનના માલિક છે અને આજે પણ તેમના ખેતરમાં 1 ડઝનથી વધારે મજૂરો કામ કરે છે. તેમણે કંગનાને પણ ખેતરમાં મજૂરી કરવાની ઓફર આપતા કહ્યું હતું કે, ખેડૂતોના અપમાન માટે તેને સજા મળવી જ જોઈએ.
એડવોકેટે કહ્યું કે, અભિનેત્રીએ તેના ટ્વીટમાં મોહિંદર કૌરને 100 રૂપિયા ભાડામાં આંદોલન કરનાર વ્યક્તિ ગણાવીને તેમનું અપમાન કર્યુ છે. તેથી મે તેને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં કંગનાને સાત દિવસની અંદર માફી માગવા માટે જણાવવામાં આવ્યુ છે. જો સાત દિવસમાં તે માફી નહી માગે તો તેના ઉપર માનહાનિનો કેસ કરવામાં આવશે.