દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસના 72 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરલામાં
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાં કોરોનાના કેસ મામલે ગઈ કાલે હેલ્થ મિનિસ્ટરી દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવાયું હતું કે હવે દેશમાં કુલ ૧,૪૦,૦૦૦ કોરોનાના ઍક્ટિવ કેસ છે. ક્યુમ્યુલેટિવ પૉઝિટિવ રેટ ૫.૨૭ ટકા છે એ સતત ઘટી રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસના આંકડા જોઈશું તો નવા કેસ ૧૨,૯૦૦થી માંડીને ૯૦૦૦ રહ્યા છે. દેશના કુલ ઍક્ટિવ કેસના ૭૨ ટકા કેરલા અને મહારાષ્ટ્રમાં છે. કેરલા અને મહારાષ્ટ્રમાં અનુક્રમે ૬૧,૫૫૦ અને 3૭,૩૮૩ કેસ છે. દેશમાં છેલ્લા ૭ દિવસથી પ્રતિ ૧૦ લાખની વસ્તીમાં ૫૬ નવા કેસ નોંધાયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ને છેલ્લા બે મહિનામાં કોરોનાના નવા સ્વરૂપના કુલ ૧૯૨ કેસ મળી આવ્યા હતા, જેમાં ચાર કેસ સાઉથ આફ્રિકાના વેરિઅન્ટના અને એક બ્રાઝિલના વેરિઅન્ટના હોવાનું અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
ADVERTISEMENT
બાકીના તમામ કેસ બ્રિટનના વેરિઅન્ટના હતા. જોકે આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ પ્રો. બલરામ ભાર્ગવે નોંધ્યું હતું કે બ્રિટિશ વેરિઅન્ટ તથા સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના વેરિઅન્ટનો ભોગ બનેલા તમામ દરદીઓમાંથી હજી સુધી એક પણ દરદીનું મૃત્યુ થયું નથી.બી.૧.૩૫૧ તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકાના વેરિઅન્ટ વિશે ભાર્ગવે જણાવ્યું હતું કે તેના કેસ જાન્યુઆરીમાં આફ્રિકન દેશોમાંથી પરત ફરેલા ચાર પ્રવાસીમાં નોંધાયા હતા. એક કેસ અંગોલામાંથી આવેલી વ્યક્તિમાં, એક ટાન્ઝાનિયાથી આવેલી વ્યક્તિમાં અને બાકીના કેસ સાઉથ આફ્રિકાથી પાછી ફરેલી વ્યક્તિઓમાં નોંધાયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
દેશમાં ૮૭ લાખ લોકોએ મુકાવી રસી
છેલ્લાં બે અઠવાડિયાંથી દેશમાં દરરોજ કોરોનાના ૧૫,૦૦૦થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ સિવાય મોતનો આંકડો પણ છેલ્લા દોઢ મહિનામાં ઘટીને ૨૦૦થી નીચે આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૯૧૨૧ નવા કેસ નોંધાયા છે. એ જ સમયે ગઈ કાલે ૮૧ વ્યક્તિનાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં ૮૭ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને બીજી રસી મળવાનું શરૂ થયું છે.
હવે દુનિયાભરના લોકોને અપાશે ભારતની રસી, ડબ્લ્યુએચઓએ આપી ઇમર્જન્સી મંજૂરી
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશીલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરેલી બે કોવિડ-19 રસીના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. એમાં સીરમ સંસ્થાની રસી ઉપરાંત, સાઉથ કોરિયાની એસ્ટ્રાઝેનેકા-એસકેબાયોની રસી સામેલ છે. ડબ્લ્યુએચઓએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે જેથી વિશ્વભરમાં રસીકરણને આગળ વધારી શકાય.
ન્યુ ઝીલૅન્ડમાં કોરોનાના નવા કેસ ન નોંધાતાં લૉકડાઉન હટાવાશે એવી આશાઓ જન્મી
ન્યુ ઝીલૅન્ડમાં મંગળવારે સળંગ બીજા દિવસે કોરોનાનો નવો કેસ ન નોંધાતાં ઑકલૅન્ડમાં આજે બુધવારે લૉકડાઉન ઉઠાવી લેવાશે એવી આશા જાગી હતી.
ત્રણ પરિવારજનો આ બીમારીનો ભોગ કેવી રીતે બન્યા એ એક રહસ્ય છે. કેસ મળી આવ્યા બાદ ટોચના લૉ મેકર્સે તાત્કાલિક ન્યુ ઝીલૅન્ડના આ સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લૉકડાઉન લાગુ કરી દીધું હતું.કોવિડ-19 રિસ્પૉન્સ પ્રધાન ક્રિસ હિપકિન્સે જણાવ્યું હતું કે નિયંત્રણો ઉઠાવવાં કે કેમ એ અંગેનો લૉ મેકર્સનો આખરી નિર્ણય કોઈ નવી માહિતી કે આગામી ૨૪ કલાકમાં નવા કેસ આવે એના પર રહેશે. જે દિવસે એક પણ પૉઝિટિવ કેસ ન નોંધાય એ શ્રેષ્ઠ દિવસ હશે, એમ હિપકિન્સે જણાવ્યું હતું.