ભારતીય સૈન્ય હુમલા ચાલુ રાખશે તો અમે મૂક દર્શક નહીં બનીએ : ઇમરાન ખાન
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતને ધમકી આપી છે. ઇમરાન ખાને કહ્યું કે ભારત પોતાના સૈન્ય હુમલાને ચાલુ રાખશે તો પાકિસ્તાન મૂક દર્શક બની રહેશે નહીં. એ પણ વળતો જવાબ આપશે.
ગઈ કાલે ઇમરાન ખાને ટ્વીટ કર્યું હતું કે ‘હું ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કરવા માગું છું કે જો ભારત નિયંત્રણ રેખા (એલઓસી) પર સૈન્ય કાર્યવાહી ચાલુ રાખે તો પાકિસ્તાન મૂક દર્શક નહીં રહે.’ ખરેખર, પાકિસ્તાનના યુદ્ધવિરામના ઉલ્લંઘન પછી ભારત જવાબી કાર્યવાહી કરે છે. ઇમરાન ખાનને આ બદલો જોઈને આંચકો લાગ્યો છે. અન્ય એક ટ્વીટમાં ઇમરાન ખાન કહે છે કે ભારત એલઓસી પર સતત ગોળીબાર કરે છે અને સ્થાનિક લોકોને નિશાન બનાવે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આ મામલામાં દખલ કરવાની જરૂર છે. રાષ્ટ્રીય લશ્કરી નિરીક્ષક જૂથે ભારતીય પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ અને કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ. ભારતીય સેનાના ફ્લૅગ ઑપરેશનથી અમને ડર લાગે છે.
ADVERTISEMENT
ભારતની નીતિ પહેલાં ક્યારેય હુમલો કરવાની નહોતી. આવી સ્થિતિમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગના જવાબમાં કાર્યવાહી કરવાની રહેશે. ભારત સરહદ પર શાંતિ ઇચ્છે છે, જ્યારે પાકિસ્તાન સતત સરહદી વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં સતત યુદ્ધવિરામ ભંગ કરી રહ્યું છે.