હું નિર્દોષ છું, મારા સામે કિન્નાખોરી રાખવામાં આવે છેઃ રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મુંબઈ વડી અદાલતમાં કરેલી જામીન માટે અરજી કરી છે. રિયા ચક્રવર્તીએ વકીલ સતીશ માનેશિંદે દ્વારા કરેલી જામીનની અરજીની સુનાવણી ગઈ કાલે જસ્ટિસ સારંગ કોટવાલની સિંગલ જજ બેન્ચ સમક્ષ નિર્ધારિત હતી. જોકે ભારે વરસાદને કારણે અદાલતે દિવસની સુનાવણીઓ મુલતવી રાખતાં હવે એ અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.
રિયા ચક્રવર્તીએ અરજીમાં જણાવ્યું છે કે ‘હું નિર્દોષ છું અને લોકોની કિન્નાખોરીથી કડક આરોપોની કાનૂની કલમો લાગુ કરવામાં આવે છે. હું માત્ર 28 વર્ષની છું. હાલમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ઉપરાંત અન્ય ત્રણ તપાસ સંસ્થાઓ પોલીસ તથા સેન્ટ્રલ એજન્સીઝની તપાસ ઉપરાંત મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છું. મુંબઈ પોલીસ ઉપરાંત સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ તપાસ કરે છે. એને કારણે મારી માનસિક સ્વસ્થતા પર અસર થઈ છે. મને વધારે વખત કસ્ટડીમાં રાખવાથી મારું માનસિક આરોગ્ય કથળવાની શક્યતા છે.’