Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેરણા અને પરિશ્રમથી મહેકતી નવલકથાઓ આપનારાં આ લેખિકાને લાખો સલામ

પ્રેરણા અને પરિશ્રમથી મહેકતી નવલકથાઓ આપનારાં આ લેખિકાને લાખો સલામ

10 April, 2020 07:04 PM IST | Mumbai Desk
Deepak Mehta | deepakbmehta@gmail.com

પ્રેરણા અને પરિશ્રમથી મહેકતી નવલકથાઓ આપનારાં આ લેખિકાને લાખો સલામ

વર્ષા અડાલજા

વર્ષા અડાલજા


લગભગ પચાસ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઑફિસથી ઘરે આવે છે. નવપરિણીત પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો અહીં છે. 

પૂછે છે: કેમ, શું ચાલે છે?
આ ભંગાર ચોપડી વાંચું છું ટાઇમ પાસ કરવા, બીજું શું?
એના કરતાં તું જ એક સારી ચોપડી લખને!
હું? મને લખતાં ક્યાં આવડે છે?
મોટા ગજાના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.
અને બીજે દિવસે સાંજે પતિ મોંઘીદાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.
નવલકથા એટલે શું, કેવી રીતે લખાય એની એ વખતે કશી ગતાગમ નહોતી એમ એ લેખિકાએ જ પછીથી કબૂલ્યું છે. પણ મુંબઈની રામનારાયણ રુઈયા કૉલેજમાં ભણતાં-ભણતાં અંગ્રેજી સુધારવા પી.જી. વુડહાઉસ, પેરી મેસન, અગાથા ક્રિસ્ટી વગેરેને ખૂબ વાંચેલાં. એટલે કંઈક રહસ્યમય લખવાનું વિચાર્યું. પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું, પણ પછી તો ધીમે-ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું: એક નવલકથા લખી છે.
પ્રકાશક: નામ શું નવલકથાનું?
નામ? નામ તો વિચાર્યું જ નથી.
એ વખતે પ્રકાશકની દુકાનમાં જાણીતા કવિ વેણીભાઈ પુરોહિત બેઠેલા. લેખિકાએ તેમને ટૂંકમાં પ્લૉટનો ખ્યાલ આપ્યો. વેણીભાઈ કહે: નામ રાખો, પાંચ ને એક પાંચ. એ નવલકથાની લેખિકાનું નામ વર્ષા મહેન્દ્ર અડાલજા (લગ્ન પહેલાંનું નામ, વર્ષા ગુણવંતરાય આચાર્ય). જન્મ - ૧૦ એપ્રિલ, ૧૯૪૦.
‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ અને વર્ષાબહેને શબ્દની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ષાબહેને કલમ પકડી એટલું જ નહીં, કલમે પણ વર્ષાબહેનને પકડ્યાં. સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રૉસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વર્ષના સમયગાળામાં બીજાં ૫૦ પુસ્તકો પ્રગટ થયાં.
રહસ્ય કથા તો લખાઈ ગઈ. પછી પ્રકાશક કહે કે હવે સામાજિક નવલકથા લખો. અત્યારે એ વધુ ચાલે છે. ફરી વિમાસણ: આ સામાજિક નવલકથા તે વળી કઈ બલા? પણ નાનપણમાં જોયેલી સાઉથની ફિલ્મો મદદે આવી. એ બધી હતી સામાજિક ફિલ્મો. એ બધીને યાદ કરીને પોતાની રીતે પાત્રો અને પ્રસંગો ગોઠવતાં ગયાં. એક મહિનામાં તો કામ પૂરું. ફરી પહોંચ્યાં પ્રકાશક પાસે. મહામહેનતે પુસ્તક છપાયું. પછી ન્યાયાધીશને જ ગુનેગાર ઠેરવતી ‘તિમિરના પડછાયા’ લખાઈ. પણ પછી ‘આતશ’ નવલકથાથી વર્ષાબહેનની કલમે પડખું બદલ્યું. એ અરસામાં તેઓ વાંચવા માટે જૂનાં અંગ્રેજી મૅગેઝિન અવારનવાર ખરીદતાં. એક વાર રાતમાં દીકરી જાગી ગઈ. તેને સુવડાવતાં-સુવડાવતાં વર્ષાબહેન ‘લાઇફ’ સામયિકનો એક અંક ઊથલાવવા લાગ્યાં. વિયેટનામ યુદ્ધના હૃદયદ્રાવક ફોટા એમાં છપાયા હતા. અમેરિકાએ એક સ્કૂલ પર બૉમ્બ ફેંક્યો. ચારસો-પાંચસો બાળકોની લાશના ઢગલા. એ ઢગલામાંથી પોતાના બાળકની એકાદ નિશાની શોધવા મથતી બેબાકળી માતાઓ. અને મનમાં એક વિચાર ઝબકયો: મારી દીકરી તો ખોળામાં સૂતી છે, પણ આ બધી માતાઓ, તેમનાં બાળકોનું શું? મનોમન નક્કી કર્યું, વિયેટનામ યુદ્ધ વિષે નવલકથા લખવી. એ વખતે ગૂગલદેવ તો હજી પ્રગટ્યા નહોતા. એટલે મુંબઈની લાઇબ્રેરીઓ ખૂંદી. પુસ્તકો, સામયિકો, છાપાં, જ્યાંથી હાથ આવી ત્યાંથી એ યુદ્ધ વિશેની સામગ્રી મેળવી. એક વરસ પછી લખવાનું શરૂ કર્યું. દીકરીઓ હજી નાની. એટલે રાતે સાડાત્રણ-ચારે રસોડામાં બેસીને લખવાનું. ‘આતશ’ને સોવિયેત લૅન્ડ નેહરુ અવૉર્ડ મળ્યો. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. પણ એના કરતાંય વધુ મહત્ત્વની વાત એ કે આ નવલકથાથી વર્ષાબહેન ડૉક્યુ-નૉવેલ, દસ્તાવેજી નવલકથાના લેખન તરફ વળ્યાં. પ્રેરણા કે સર્જકશક્તિ તો પહેલી. પણ માત્ર પ્રેરણા પર બધો મદાર નહીં. પ્રેરણાની સાથે પરિશ્રમના પરસેવાની મહેક પણ ભળવી જોઈએ, સર્જકના શબ્દમાં.
વિયેતનામ તો દૂરની ભૂમિ. સહેલાઈથી જવાય નહીં. પણ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી તો જઈ શકાયને! હા, હાડમારી તો ઘણી ભોગવવી પડે એ આદિવાસી વિસ્તારમાં જતાં. પણ ગયાં. નાની દીકરી સાથે. બસનાં ઠેકાણાં નહીં. પથ્થર ભરેલા ખટારામાં મહામુશ્કેલીએ બેસવા મળ્યું. આદિવાસીઓને મળીને તેમની સમસ્યાઓ જાતે જોઈ-જાણી. પછી ઘરે આવીને લખી ‘ગાંઠ છૂટ્યાની વેળા’. પછી ઘણી ખટપટ કરીને એક વખત પહોંચ્યાં મુંબઈની આર્થર રોડ જેલમાં. ત્યાં જઈને સ્ત્રી કેદીઓને મળ્યાં, તેમની કેફિયતો સાંભળી. અને પછી લખી નવલકથા ‘બંદીવાન’. એના પરથી બનેલું નાટક ‘આ છે કારાગાર’ પણ સફળતાથી ભજવાયું. એક મિત્ર દંપતી અને તેમનો મેન્ટલી ચૅલેન્જ્ડ દીકરો. ત્રણેની સમસ્યા, વ્યથા વર્ષાબહેન જાણે. પછી એક દિવસ બસમાં મુસાફરી કરતી વખતે એક સ્ત્રીને તેના આવા જ બાળક સાથે મહામુશ્કેલીએ મુસાફરી કરતી જોઈ. પહોંચ્યાં આવાં બાળકો માટેની હૉસ્પિટલમાં. ત્યાં થોડા દિવસ બધું જોયું-જાણ્યું. અને પછી લખી નવલકથા ‘ખરી પડેલો ટહુકો’. આજે હવે એની એટલી બધી ચર્ચા જોવા મળતી નથી; પણ એક વખત આપણે ત્યાં રક્તપિત્તના દરદીઓ, તેમની સમસ્યાઓ, તેમની સારવાર વગેરેની સારીએવી ચર્ચા થતી. રક્તપિત્તના દરદીઓની સારવાર કરતા એક આશ્રમમાં પહોંચી ગયાં અને ત્યાં થોડા દિવસ રહ્યાં. કથાની ભોંય વાસ્તવિકતાની. એમાં પોતાની કલ્પનાથી જે છોડ ઉગાડ્યો એ નવલકથા ‘અણસાર’. એને દિલ્હીની સાહિત્ય અકાદમીનો ૧૯૯૫ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો અવૉર્ડ મળ્યો.
એ અરસામાં આપણે ત્યાં લઘુનવલની બોલબાલા. પ્રયોગપરાયણ અને પરંપરા જાળવીને લખનારા એમ બન્ને પ્રકારના લેખકો તેના લેખન તરફ વળ્યાં હતાં. સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’નાં એ વખતે ધીરુબહેન પટેલ તંત્રી. તેમણે એક લઘુનવલ લખવા વર્ષાબહેનને કહ્યું. બે બહેનોને લગતી એક વાત દસ દિવસમાં લખાઈ. ધીરુબહેને જ નામ પાડ્યું: ‘મારે પણ એક ઘર હોય’. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું ઇનામ મળ્યું. એ લેવા માટે આજોલ ખાતે યોજાયેલા પરિષદના જ્ઞાનસત્રમાં વર્ષાબહેન ગયાં. પ્રવેશદ્વાર પાસે સૌથી પહેલાં સામે મળ્યા ઉમાશંકર જોશી. તેમણે લેખક ગુણવંતરાયની લેખિકા પુત્રીને ઉમળકાભર્યો આવકાર આપ્યો. બસ, એ દિવસથી ગુજરાતી સાહિત્યની દુનિયામાં લેખિકા તરીકે વર્ષાબહેનનો પ્રવેશ થયો. આ લઘુનવલને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ૧૯૭૨માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલવહેલી ગુજરાતી સિરિયલ આ નવલકથા પરથી બની હતી. ધર્મને નામે થતું સ્ત્રીનું શોષણ એ આજકાલની વાત નથી. ‘શગ રે સંકોરું’ નવલકથામાં આવા શોષણની વાત થઈ છે. પણ એની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરી લેતી નથી. કથાને અંતે તે પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. આ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક વાચકોએ એનો વિરોધ કર્યો અને નવલકથાનું પ્રકાશન અટકાવવા માટે ઝુંબેશ ચલાવી. પણ એની સામે ઝૂક્યા વગર વર્ષાબહેને લખવાનું અને અખબારે એને પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.
પ્રેરણાની સાથોસાથ પરિશ્રમની સુવાસથી મહેકતી અત્યાર સુધીની લેખિકાની નવલકથાઓમાં કલગીરૂપ ‘ક્રૉસરોડ’ ૨૦૧૬માં પ્રગટ થઈ. એમાં ૧૯૨૦થી ૧૯૭૦ સુધીના વિશાળ સમયપટને આવરી લીધો છે. આઝાદી પહેલાંનું ગુજરાત અને આઝાદી પછીનું ગુજરાત કથાની પીછવાઈ બને છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વિચારધારાઓ, આદર્શો વગેરે વચ્ચેની ખેંચતાણ રસપ્રદ રીતે આલેખાઈ છે. અ બધાં વાનાં વડે એક મહત્ત્વના કાલખંડને લેખિકા અસરકારક રીતે વાચકની આંખ આગળ ખડો કરી શક્યાં છે. કથાનું સંકલન અને આલેખન ગોફ પદ્ધતિનું છે. વિવિધ સામગ્રી ધીમે-ધીમે એકમેકમાં ગૂંથાતી જાય છે અને મનોહર આકાર ઊભો કરે છે.
નવલકથા ઉપરાંત લેખિકા પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. એમાં હરિકથા અનંતા, અનુરાધા, તને સાચવે પારવતી, બીલીપત્રનું ચોથું પાન, એંધાણી વગેરેનો સમાવેશ થાય છે. આ છે કારાગાર, વાસંતી કોયલ, મંદોદરી, શહીદ વગેરે નાટક-એકાંકીનાં પુસ્તકો વર્ષાબહેને આપ્યાં છે તો પૃથ્વીતીર્થ અને ન જાને સંસાર જેવા નિબંધસંગ્રહો પણ આપ્યા છે. શુક્રન ઇજિપ્ત, નભ ઝૂક્યું, શરણાગત, શિવોહમ્ અને ઘૂઘવે છે જળ એ તેમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો છે. પણ નાટક-એકાંકી હોય, નિબંધ હોય કે પ્રવાસર્ણન હોય; તેમનું કોઈ પણ પુસ્તક વાંચતાં એ વાતનો અણસાર આવ્યા વગર રહેતો નથી કે હાડે કથાકારની કલમની આ નીપજ છે.
વર્ષાબહેન સુધા અને ગુજરાતી ફેમિના જેવાં સ્ત્રી સામયિકોના તંત્રી રહી ચૂક્યાં છે. મુંબઈની અને મુંબઈ બહારની સાહિત્યિક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. દાયકાઓથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયેલાં રહેલાં વર્ષાબાહેન ૨૦૧૨માં એના પ્રમુખ બન્યાં હતાં. પિતા ગુણવંતરાય આચાર્યની હયાતીમાં એક અક્ષર નહોતો પાડ્યો, પણ પછી? રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંતરાયભાઈને ૧૯૪૫માં મળ્યો હતો. એ જ ચંદ્રક વર્ષાબહેનને મળ્યો ૨૦૦૫માં. એ ઉપરાંત નંદશંકર મહેતા ચંદ્રક, ક. મા. મુનશી અવૉર્ડ, દર્શક અવૉર્ડ અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો અવૉર્ડ ‘અણસાર’નવલકથા માટે ૧૯૯૫માં મળ્યો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદેમીનો જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો. ‘ક્રૉસરોડ’ નવલકથાને તો અડધો ડઝન જેટલા પુરસ્કાર મળ્યા છે.
આ લખનારનો વર્ષાબહેન સાથેનો પરિચય ૧૯૬૧માં બન્ને જુદી-જુદી કૉલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારનો. વિલ્સન કૉલેજની બહારના બસ-સ્ટૉપ પર પહેલી વાર મળવાનું થયેલું. હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે. આજે જ્યારે તેઓ જીવનના ૮૧મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ મિત્રો અને ચાહકો વતી વર્ષાબહેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.



તેઓ રંગભૂમિનાં અભિનેત્રી પણ હતાં એ જાણો છો?


મૂળ વતન જામનગર, પણ જન્મ મુંબઈ. અને વર્ષાબહેન પાક્કાં મુંબઈકર. બીએ અને એમએનો અભ્યાસ પણ મુંબઈમાં. દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનું શરૂ કરેલું. એ વખતે છોકરીઓ તખ્તા પર ભાગ્યે જ જોવા મળતી, પણ માતા નીલાબહેન અને પિતા ગુણવંતરાયભાઈ બંનેનું સતત પ્રોત્સાહન. અલ્લાબેલી (ગુણવંતરાય આચાર્ય), મૃચ્છકટિકમ્ (શૂદ્રક્ના સંસ્કૃત નાટકનો કવિ સુન્દરમે કરેલો અનુવાદ), પૂર્ણિમા (રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર), કવિ દયારામ, કાકાની શશી (કનૈયાલાલ મુનશી), ઝેર તો પીધાં છે જાણી જાણી (દર્શકની નવલકથાનું રૂપાંતર) જેવાં ગુજરાતી રંગભૂમિનાં સીમાચિહનરૂપ નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી તરીકે નામ ગાજતું થયું. પણ લગ્ન પછી સ્વેચ્છાએ રંગભૂમિ છોડી. એ વિશે એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું ‘મને જીવનમાં કોઈ અફસોસ નથી. અભિનેત્રી તરીકે પરકાયાપ્રવેશ કરવાનો અનુભવ મને લેખનમાં બહુ કામ લાગ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 07:04 PM IST | Mumbai Desk | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK