બિલ્ડરો માટે ગુજરાત બન્યું ઇન્વેસ્ટર-ફ્રેન્ડ્લી
મુંબઈ ઇન્વેસ્ટરો માટે ફ્રેન્ડ્લી રહ્યું નથી એટલે લોકો ગુજરાતના અમદાવાદ તરફ વળી રહ્યા છે એવું ઘણી વાર સાંભળવા મળે છે, પણ પહેલી વાર બિલ્ડરો પણ આવું જોરશોરથી કહી રહ્યા છે. બિલ્ડરોના કહેવા મુજબ ગુજરાતમાં બિલ્ડરોને તેમના બિલ્ડિંગ માટેનું કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) હૅન્ડ-ડિલિવરીથી મળે છે, જ્યારે મુંબઈમાં ફાઇલો વર્ષો સુધી આગળ વધતી જ નથી. અહીં ટૅક્સ વધી રહ્યા છે અને ભ્રષ્ટાચારને કારણે અનેક પ્રોજેક્ટ અટવાઈ જાય છે.
ADVERTISEMENT
રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશની સૌથી મોટી સંસ્થા એવી ક્રેડાઈનો દાવો છે કે ટૂંક સમયમાં મુંબઈમાં થતું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત તરફ જતું રહેશે અને ફાસ્ટ પૉલિસી ડિસિઝનને કારણે અમદાવાદ દેશમાં સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર બની જશે. ક્રેડાઈના પ્રેસિડન્ટ લલિતકુમાર જૈને કહ્યું હતું કે ‘ઇન્વેસ્ટરો મુંબઈથી દૂર થઈ રહ્યા હોવાનાં અનેક કારણો છે. રાજ્ય સરકારની કેટલીક પૉલિસીઓને કારણે અહીં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઇન્વેસ્ટરો માટે ફ્રેન્ડ્લી રહ્યું નથી. સરકારે હમણાં લૅન્ડ લીઝ-રેટ વધારી દીધા છે. આ પહેલાં બલ્ક એફએસઆઇ પર પ્રીમિયમ લેવાનું શરૂ થયું છે, પ્રૉપર્ટી-ટૅક્સ વધારી દેવામાં આવ્યો છે અને જમીનનો ઉપયોગ કરવાના નિયમોમાં પણ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. ગુજરાતના બિલ્ડરોને વિવિધ અપ્રૂવલ્સ માટે ઠેર-ઠેર ભટકવું પડતું નથી. એમને સીસી હૅન્ડ-ડિલિવરીથી મળે છે. સરકારનાં કૉલ-સેન્ટરોમાં આઇએએસ અધિકારીઓ બેસે છે અને ખુદ ચીફ મિનિસ્ટર એનું મૉનિટરિંગ કરે છે.’
બિલ્ડરો ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનાં વખાણ કરે છે. તેમનો દાવો છે કે મોદી એફિશિયન્ટ લીડર છે. કોઈ પણ બિઝનેસમૅનને ધંધા માટે રોકાણ કરવું હોય તો રિયલ એસ્ટેટ મુખ્ય ભાગ ભજવે છે. ધંધો ચલાવવો મોંઘો હશે કે નહીં એની ગણતરી એના આધારે થાય છે. આના પરથી નિર્ણય લેવામાં આવે છે. વળી અમદાવાદ પણ મુંબઈથી વિમાની રસ્તે માત્ર એક કલાકના અંતરે છે.
ક્રેડાઈના એક નિવેદન અનુસાર મુંબઈમાં સ્થિતિ સારી નથી. બે વર્ષના સમયગાળા પછી માત્ર કેટલાક સિલેક્ટિવ પ્રોજેક્ટ જ પાસ થયા છે. સરકારી તંત્રમાં ખૂબ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સની વાતો થાય છે, પણ એનો અમલ થતો નથી. એમસીએચઆઇ-નવી મુંબઈના પ્રેસિડન્ટ મનોહર શ્રોફે કહ્યું હતું કે ‘પહેલાં તે મુંબઈ અને નવી મુંબઈમાં જમીનના ભાવ આસમાને છે. એના પર આવતા પ્રોજેક્ટોની ફાઇલો ક્લિયર કરવામાં સરકાર વર્ષો કાઢી નાખે છે. આ સમયગાળામાં બિલ્ડરને ખૂબ જ નુકસાન થાય છે. વળી ટૅક્સનું ભારણ વધી રહ્યું છે, લીઝ-રેન્ટ વધી ગયું છે એટલે અમે ગુજરાત તરફ કેમ ન જઈએ? ત્યાં સરકારી નીતિઓ ઇન્વેસ્ટર-ફ્રેન્ડ્લી છે.’