આ કેવો પત્નીપ્રેમ?:૧૬ વર્ષથી મૃત પત્નીના અવશેષ સાથે સૂઈ જાય છે પતિદેવ
વિયેટનામમાં એક પતિ દરરોજ મૃત પત્નીના અવશેષ સાથે સૂઈ જાય છે. વિયેટનામમાં લે વૅન પત્નીના મૃત્યુ પછી એકલતા સહન કરી ન શક્યા. તેમણે કબર ખોદીને પત્નીના અવશેષ બહાર કાઢ્યા અને એ બધા પ્લાસ્ટિક સ્કલ્પચરમાં પૅક કરીને બેડ પર ગોઠવ્યા છે. રાતે એ અવશેષ ભરેલા સ્કલ્પચરના સહવાસમાં રાતે સૂઈ જાય તો તેમને સારી ઊંઘ આવે છે. આ સિલસિલો ૧૬ વર્ષથી ચાલે છે. તેમનાં સગાં અને ગામના અન્ય રહેવાસીઓ વારંવાર લે વૅનને સમજાવે છે કે ‘પત્ની મૃત્યુ પામી ચૂકી છે એ તમે સ્વીકારી લો અને આ રીતે પૂતળા સાથે સૂવાનું બંધ કરો.’ પરંતુ લે વૅન એ વાત માનતો જ નથી.
બન્ને સાવ નાનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતાએ લગ્ન નક્કી કર્યાં હતાં, પરંતુ વિયેટનામી યુવાને લશ્કરી સેવા પણ આપવાની હતી એથી લે વૅન ૧૯૭૫માં લશ્કરી સેવા આપીને પાછા આવતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. નાનપણમાં લગ્ન નક્કી થયા છતાં તેમની મુલાકાત ભાગ્યે જ થતી હતી, પરંતુ લગ્ન પછી બન્ને ગળાડૂબ પ્રેમમાં પડ્યાં. તેમને સાત સંતાનો થયાં હતાં. ૨૦૦૩માં પત્નીનું અવસાન થયા પછી લે વૅને કબ્રસ્તાનમાં સૂવાનું શરૂ કર્યું હતું. વૅનના રાતે સૂઈ જવાના નવા સ્થાનની ખબર મળી હતી. એક વખત લે વૅનને લાગ્યું કે રોજ કબ્રસ્તાનમાં સૂઈ જવાનું મુશ્કેલ છે એટલે તેણે કબર ખોદીને પત્નીના મૃતદેહનાં હાડકાં કાઢ્યાં અને એક બૅગમાં પૅક કર્યાં હતાં. તેમણે પ્લાસ્ટરના અંદરથી પોકળ એવા સ્ત્રીના પૂતળામાં એ હાડકાં ભર્યાં અને એ પૂતળું બેડ પર મૂકીને સૂવાનો સિલસિલો ૧૬ વર્ષથી ચાલે છે. લે વૅનને પોલીસ તથા અન્ય સત્તાવાળાઓએ સૂચના આપ્યા છતાં તે પત્નીના અવશેષને કબરમાં દાટતો નથી. અત્યારે વ્હીલચૅરમાં હોવા છતાં તે પૂતળાનો સંગાથ છોડતો નથી. દિવસમાં બે વખત તે પૂતળાનાં કપડાં પણ બદલે છે.