સિયાચીનમાં હિમપ્રપાત થતાં 4 જવાન શહિદ થયા
સિયાચીન (PC : Jagran)
દુનિયાનાં સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર કહેવામાં આવનારા સિયાચીન ગ્લેશિયરમાં થયેલા હિમપ્રપાતમાં આઠ ભારતીય સૈનિક ફસાઇ ગયા હતા અને એમાંથી ચાર જવાન શહિદ થયા હતા. આ ઉપરાંત બે પૉર્ટરના પણ મોત થયા હતા. સમાચાર પ્રમાણે આ મુશ્કેલ વિસ્તારમાં સોમવાર બપોરનાં હિમપ્રપાત થવાથી પેટ્રોલિંગ ટીમનાં આઠ જવાન ફસાયા હતા. જવાનોને બચાવવા માટે સેનાએ તાત્કાલિક રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરી દીધું હતું. 18,000 ફૂટની ઊંચાઈ પર આ અકસ્માત થયો હતો.
સૈન્ય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સોમવાર બપોરે લગભગ બે વાગ્યે સિયાચીનમાં થયેલા એક ભીષણ હિમપ્રપાત બાદ ભારતીય સેનાનાં આઠ જવાનો બરફમાં ફસાયા હતા. આ હોનારતની સૂચના મળતા જ સેનાએ અહીં જવાનોની શોધમાં એક મોટું રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
ઉલ્લેખનીય છે કે કારાકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત સિયાચિન ગ્લેશિયર વિશ્વમાં સૌથી ઊંચા સૈન્ય ક્ષેત્રમાં માનવામાં આવે છે, જ્યાં સૈનિકોને ફ્રોસ્ટબાઇટ (વધારે ઠંડીથી શરીર સુન્ન થઈ જવું) અને તેજ હવાઓનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર પર ઠંડીની ઋતુ દરમિયાન હિમસ્ખલનની ઘટનાઓ સામાન્ય છે. સાથે જ અહીં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહે છે. પૂર્વમાં ઘણીવાર સિયાચિનમાં થયેલા હિમસ્ખલનનાં કારણે જવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.