ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં
ગાંધીને બદલે ગાંઘી શબ્દ દ્વારા અપમાન
ગાંધીના ગુજરાતમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હાલત એવી છે કે ૭મા ધોરણમાં ભણનાર વિદ્યાર્થીને ગુજરાતી ભાષા વાંચતાં-લખતાં બરાબર આવડતી નથી. જોડણીની જાણકારી તો જોજનો દૂરની વાત છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત અનુસાર સરકારે શાળાઓમાં એવું ભણાવ્યું કે પાટનગર ગાંધીનગરમાં જે પાણીની આધુનિક પરબ-સ્માર્ટ વૉટર એટીએમ લગાવવામાં આવ્યું છે એના પર ગરવી ગુજરાતની સત્તાવાર ગુજરાતી ભાષામાં ગાંધીનગરને બદલે ગાંઘીનગર લખવામાં આવ્યું છે.
આ સ્માર્ટ વૉટર એટીએમ પર લખાણમાં થયેલા છબરડાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે આમ પણ બીજેપી સરકારને ગાંધીજી સાથે બાર ગાઉનું છેટું છે. જો એમ ન હોત તો ગાંધીજીના હત્યારા ગોડસેને દેશભક્ત કહેનાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને બીજેપીએ સંસદમાં મોકલવાને બદલે સંસદની બહાર બેસાડી રાખી હોત. બીજી ઑક્ટોબરે એક અન્ય સાધ્વી ગાંધીજીના પૂતળાને ગોળી મારીને ગોડસેનો જયજયકાર બોલાવે છતાં ગાંધીના ગુજરાતમાં કોઈનું રૂંવાડુંય ફરક્યું નહોતું. કોઈએ એ સાધ્વીનો વિરોધ ન કર્યો જાણે કે ગાંધીજી તો આખા વિશ્વના છે, આપણે શું?
ADVERTISEMENT
એવી માનસિકતામાં માનનારાઓએ મહારાષ્ટ્રમાં રચાયેલી ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનાં દૃશ્યો યાદ કરવાં જોઈએ. ઉદ્ધવ સહિતના તમામ મંત્રીઓએ શપથ લેતાં પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પગે લાગ્યા હતા. એટલું જ નહીં, શપથવિધિ સ્થળે મંચ પર શિવાજી મહારાજની પ્રતિમા ખાસ મગાવવામાં આવી હતી. ગુજરાતમાં અનેક સરકારો અને સીએમની શપથવિધિ યોજાઈ, કોઈએ ગાંધીજીની પ્રતિમાને પગે લાગવાની તસ્દી લીધી?
આ પણ વાંચો : ગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ
ગાંધીજી પ્રત્યેનો આટલા અણગમાનો પડઘો કદાજ આ એટીએમ પર ગાંધી શબ્દની ખોટી રીતે લખાયેલી જોડણી પાડી રહી છે સરકાર અને મનપાના સત્તાવાળાઓએ જોડણી સુધારવી જોઇએ એવી લાગણી વ્યક્ત થઇ રહી છે.