કૉંગ્રેસે J&Kમાં શા માટે હૅડ ઑફિસ બંધ કરી?
ફાઈલ ફોટો
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં COVID-19ના કેસમાં સતત વધારો થતા પૉલિટીકલ પાર્ટીઓના કામકાજ ઉપર પણ બ્રેક લાગી છે. ભાજપ બાદ હવે કૉંગ્રેસે જમ્મુ અને શ્રીનગરમાં પોતાની હૅડ ઓફિસને બંધ કરી છે. આ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના લીધે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજતા કૉંગ્રેસે આ નિર્ણય લીધો છે.
પક્ષના નેતા અને કાર્યકર્તાઓને આવતા સાત દિવસ સુધી હૅડ ઓફિસમાં ન આવવાનું જણાવ્યું છે. તેમ જ કાર્યકર્તાઓને સલાહ આપી છે કે તેઓ પોતાને અને કુટુંબને સુરક્ષિત રાખવા માટે દરેક નિયમ/ગાઈડલાઈન્સનું પાલન કરે.
ADVERTISEMENT
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવિન્દ્ર શર્માએ કહ્યું કે, કોરોના સંક્રમણને લીધે હાલત સતત ખરાબ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં 500થી વધુ કોવિડ-19 પૉઝિટિવ કેસ આવ્યા છે અને 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણામે પાર્ટીએ બંને હૅડ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જરૂરી મુદ્દાઓને બાદ કરતા આ હૅડઓફિસમાં કોઈ કામકાજ નહીં થાય.
ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ કોવિડ-19 પૉઝિટિવ થતા જમ્મુની હૅડ ઓફિસને 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જમ્મુના ભાજપના સંસદસભ્ય જુગલ કિશોર શર્મા, સંગઠન મહામંત્રી અશોક કૌલ, મહાસચિવ વિબોધ ગુપ્તા, સુનીલ શર્મા, મહિલા મોર્ચા પ્રદેશ અધ્યક્ષ સહિત અન્ય ભાજપ નેતાઓ કોવિડ-19 પૉઝિટિવ થતા તેમની હૉસ્પિટલમાં તબીબી સારવાર ચાલી રહી છે.