અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી પર દિલ્હી હાઈ કોર્ટનો સ્ટે ઑર્ડર
અનીલ અંબાણી
રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) લિમિટેડ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિમિટેડ (RITL) કંપનીઓએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી લીધેલી લોનમાં પર્સનલ ગૅરન્ટીના કેસમાં અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી રોકવામાં આવી છે. ઉક્ત કેસમાં અનિલ અંબાણી સામે ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ (IBC) હેઠળની કાર્યવાહી પર દિલ્હી હાઈ કોર્ટે સ્ટે ઑર્ડર આપ્યો હતો.
પર્સનલ ગૅરન્ટી ઍન્ડ બૅન્કરપ્ટસી સંબંધી કાનૂની જોગવાઈઓ લાગુ કરવાની યોગ્યતાને પડકારતી અનિલ અંબાણીની અરજીના અનુસંધાનમાં જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રજનીશ ભટનાગરની બેન્ચે કાર્યવાહી પર સ્થગન આદેશ આપ્યો હતો. એ ઉપરાંત બેન્ચે આ પ્રકારના આદેશ માટે IBCમાં જોગવાઈ છે કે નહીં એ પ્રશ્ન સાથે નોટિસ પણ મોકલી હતી. કેસની સુનાવણીની આગામી તારીખ ૬ ઑક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે.