કોરોના ઇન્ફેક્શનમાંથી ઉગરી ગયેલા વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત
પ્રતીકાત્મક તસવીર
પુણે પાસે દોંડ ખાતે કોરોના ઇન્ફેક્શનમાંથી સાજા થયેલા સ્થાનિક રહેવાસીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. પોલીસને એ આપઘાતનો કિસ્સો હોવાની શંકા છે. મરનારની પત્ની પણ કોરોનાની દર્દી છે. 24 જૂને એ માણસને શ્વાસ લેવામાં તકલીફ થતાં એને એને પિંપરી-ચિંચવડ મહાનગર પાલિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. એ વખતે એની પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.
થોડા દિવસોની સારવાર પછી એ માણસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતાં એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ મળ્યા પછી એ ઘરે ગયો હતો. ત્યારપછી એ માણસ નજીકના બોરીપારધી ગામે રહેતા એના ભાઈના ઘરે ગયો હતો. બુધવારે રાતે ભાઈના પરિવાર જોડે જમ્યા પછી રાતે બધા સૂઈ ગયા હતા.
ADVERTISEMENT
ગુરૂવારે સવારે એ ઘરમાં જોવા ન મળ્યો ત્યારે ભાઈએ શોધખોળ ચાલુ કરી હતી. શોધખોળ દરમ્યાન એનો મૃતદેહ દૌંડ રેલવે સ્ટેશનની પાસે ટ્રેનના પાટા પર મળ્યો હતો. દોડતી ટ્રેનની સામે કૂદી પડીને એણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ અને સગાં માને છે. પરિવારના સભ્યોએ જણાવ્યા પ્રમાણે મરનાર માતાના મૃત્યુના દુઃખમાંથી બહાર આવી શક્યો નહોતો અને બિમારીઓથી પણ ખૂબ કંટાળ્યો હતો. મૃત્યુ પૂર્વે લખેલી કોઈ ચિઠ્ઠી કે સુસાઇડ નોટ મળી નથી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.