કોરોનાના 1-2 કેસ નોંધાવા પર ઑફિસો નહીં થાય બંધ
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) જાહેર કરી છે. એ મુજબ જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો જે વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના-સંક્રમિતની ગતિવિધિઓ રહી હોય, માત્ર એટલા ભાગને જ સૅનિટાઇઝ કરવાની જરૂર પડશે.
શનિવારે જાહેર કરવામાં આવેલી એસઓપી પ્રમાણે નિર્ધારિત નિયમો પ્રમાણે સૅનિટાઇઝેશન કર્યા બાદ કાર્ય શરૂ કરી શકાશે, પરંતુ જો કાર્યસ્થળ પર કોરોનાના અનેક કેસ સામે આવે તો સંપૂર્ણ ઇમારત કે બ્લૉકને સૅનિટાઇઝ કરવાની પ્રક્રિયા કરવી પડશે અને ત્યાર બાદ જ કાર્ય શરૂ કરી શકાશે.
ADVERTISEMENT
નવી એસઓપી પ્રમાણે પ્રતિબંધિત ઝોનમાં રહેતા કર્મચારીઓએ આ સંદર્ભે પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરવી પડશે અને જ્યાં સુધી તેમનો વિસ્તાર પ્રતિબંધિત ઝોનની શ્રેણીમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી કાર્યાલય ન આવવું જોઈએ. સાથે જ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી મળવી જોઈએ.
ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારોમાં આવતાં કાર્યાલયો બંધ જ રહેશે. એના સિવાય માત્ર લક્ષણો ન ધરાવતા કર્મચારીઓ અને આગંતુકોને જ કાર્યાલયમાં પ્રવેશની અનુમતિ અપાવી જોઈએ.