કાંદિવલી-અંધેરી છે નવા ડેન્જર ઝોન
એક વ્યક્તિ કોવિડ-19ની ટેસ્ટ કરાવી રહી છે. તસવીર : સમીર માર્કન્ડે
કોરોના મહામારી ફરી એક વાર મુંબઈમાં પોતાનો કેર વરસાવી રહી છે. દહિસરથી કાંદિવલી અને ગોરેગામ, બાંદરા-વેસ્ટ, મલબાર હિલ અને કોલાબામાં આ ચેપ ભયાનક રીતે ફાટી નીકળ્યો હતો પણ ત્યાં બોરીવલીને બાદ કરતા બીજે પરિસ્થિતિ કન્ટ્રૉલમાં આવી હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બે અઠવાડિયાં પહેલાં બોરીવલીમાં ૧૦૦૦થી વધારે કોરોનાના ઍક્ટિવ કેસ હતા, પણ હવે કાંદિવલી અને અંધેરીમાં કોરોનાના કેસનો આંકડો ૧૭૦૦ જેટલો થયો છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર) અને મુંબઈમાં કોરોનાના કેસનો આંકડો એક સમયે ઘટી ગયો હતો. ગયા અઠવાડિયે એમએમઆરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫,૦૦૦ વધીને ૪૩,૦૦૦થી ૪૮,૦૦૦ થઈ હતી. અનલૉકનો પહેલો તબક્કો જ્યારે લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે એ સીઝનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૩૦,૬૩૭ હતી. ૨૦ ઑગસ્ટે શહેરનો રિકવરી રેટ ૮૧ ટકા નોંધાયો હતો જે બાદમાં ઘટીને ૭૮ ટકા થયો હતો. બીએમસીના અધિકારીએ જણાવ્યું છે કે હાલના સમયમાં દિવસમાં સરેરાશ ૯૦૦૦ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી જૂને મુંબઈ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૩,૦૦૦ હતી જે ૩૦ ઑગસ્ટે ૨૦,૩૨૧ નોંધાઈ છે.