શિવસેનાએ કેમ હજીયે BJP સાથે છેડો નથી ફાડ્યો?
દેવેન્દ્ર ફડણવીસ
અહમદનગર મહાનગરપાલિકામાં જે રીતે છેલ્લી એ NCPએ BJPને સપોર્ટ કરતાં તખ્તો પલટાઈ ગયો એ જોયા પછી પાર્ટીનું માનવું છે એવું કરવાથી સરવાળે તેમને જ નુકસાન થવાનું છે
અહમદનગરમાં બે દિવસ પહેલાં બનેલા નાટ્યત્મક ઘટનાક્રમ બાદ ગઈ કાલે પહેલી વખત શિવસેનાના એક સિનિયર નેતાએ જાહેરમાં કબૂલ કર્યું હતું કે શિવસેના વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તા છોડી શકે એમ નથી.
ADVERTISEMENT
શિવસેનાના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન રામદાસ કદમે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં અમે BJPને છોડી શકીએ એમ નથી; કેમ કે અમને ડર છે કે અમે સત્તા છોડીશું તો ફડણવીસની સરકારને કશું નહીં થાય, પણ NCP અમારી જગ્યા લઈ લેશે. આ વાત અમે ઘણા વખતથી જાણીએ છીએ, પરંતુ અહમદનગરમાં જે બન્યું એના પરથી હવે સિદ્ધ થઈ ગયું છે કે અમે સત્તાનો ત્યાગ કરીશું તો અમારી જગ્યા લેવા માટે NCP તૈયાર બેઠી છે.’
અહમદનગરમાં થયું એ સાવ જ અનપેક્ષિત હતું એમ જણાવતાં રામદાસ કદમે કહ્યું હતું કે ‘વાસ્તવમાં તો શિવસેના NCP અને કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવાની હતી અને આ માટે મેં પોતે અજિત પવાર (NCPના નેતા) અને રાધાકૃષ્ણ વિખે-પાટીલ (કૉન્ગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા) સાથે ચર્ચા કરી હતી. આ માટેની બધી તૈયારી થઈ ગઈ હતી અને આખો તખ્તો ગોઠવાઈ ગયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ તખ્તો પલટાઈ ગયો હતો. NCPના સ્થાનિક નેતાઓ સામે આ જ કારણસર હવે પગલાં લેવામાં આવશે.’
અહમદનગરની ચૂંટણીમાં શિવસેના ૨૪ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો અને ૧૮ બેઠકો સાથે NCP બીજા સ્થાને અને ૧૪ સીટ સાથે BJP ત્રીજા સ્થાને હતી. મેયર ચૂંટી કાઢવા માટે ૬૮ બેઠકની મહાનગરપાલિકામાં શિવસેનાને ૩૫ વોટની આવશ્યકતા હતી અને BJPનો સાથ લેવામાં આવ્યો હોત તો કોઈ સમસ્યા થવાની નહોતી, પરંતુ તેમણે BJPને સત્તામાંથી બહાર રાખવાના પેંતરા કર્યા હતા. આ બાબતની ગંધ આવી જતાં BJPએ મેયર અને ડેપ્યુટી મેયરના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને બન્નેને ૩૭ વોટ મળ્યા હતા. NCPના ૧૮, બહુજન સમાજ પાર્ટીના ૪ અને એક અપક્ષે BJPના ઉમેદવારોને મતદાન કર્યું હતું.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ અહમદનગરના ગઠબંધનને અનૈતિક ગણાવ્યું હતું. ગઈ કાલે રામદાસ કદમે NCPને તકવાદી અને દગાબાજ ગણાવ્યા બાદ NCPના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે ‘શિવસેનાએ પોતાની પાર્ટી પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. અમારા જે ૧૮ નગરસેવકે પક્ષનો આદેશ નથી માન્યો તેમને નોટિસો આપવામાં આવી છે. તેમની સામે શું પગલાં લેવાં એ નક્કી કરવા માટે અમે સક્ષમ છીએ.’