હા, અમારા ચાર સૈનિક ગલવાનમાં મરાયા: ચીન
ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ઊકલી રહ્યો હોય એમ જણાઈ રહ્યું છે. આ વેળાએ ચીને પહેલી વાર ઔપચારિક રીતે ગલવાન ઘાટીમાં એના સૈનિકો પણ મરાયા હોવાની વાત કબૂલી તેમની સંખ્યા જાહેર કરી છે. ચીની સેનાએ દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં એના ચાર સૈનિકો માર્યા ગયા હતા. ભારત સહિત વિશ્વની અનેક એજન્સીઓએ જાહેર કરેલા આંકડાઓ જોતાં ચીને કબૂલ કરેલા આંકડા વાસ્તવિકતાથી જોજનો દૂર છે. ગયા વર્ષના જૂન મહિનામાં ગલવાનમાં ચીની સેનિકો સાથેના સંઘર્ષમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. આમ આટલા વિલંબ પછી પોતાના સૈનિકોનાં મૃત્યુની કબૂલાત કરતાં ચીને સચ્ચાઈ જાહેર કરી નથી. ભારતે કરેલા દાવા મુજબ ગલવાન ઘાટીમાં ચીનના લગભગ ૪૦ જેટલા સૈનિકો માર્યા ગયા હતા. રશિયાની સમાચાર એજન્સીના મતે આ આંકડો ૪૫ કરતાં વધુ છે.
લદ્દાખમાં ભારત-ચીન સેના વચ્ચે આજે ૧૦મા તબક્કાની મંત્રણા
ADVERTISEMENT
લદ્દાખમાં પૅન્ગૉન્ગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બન્ને દેશોની કોર કમાન્ડર સ્તરની વાતચીત થવાની છે. સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી મોલ્ડોમાં થશે જ્યાં ૯મા દોરની પણ વાત થઈ હતી અને સેનાઓની વાપસી પર ઠોસ સંમતિ બની શકી હતી. આ વાતચીત કાલે સવારે ૧૦ વાગ્યે થશે.