ડૉક્ટરોની પોસ્ટ-ગ્રૅજ્યુએશનની પરીક્ષાની મોકૂફીનો PMને ઉદ્ધવનો અનુરોધ
બોરીવલીના સમાજ કલ્યાણ મેદાનમાં આઇસી કૉલોનીના રહેવાસીઓની ચકાસણી કરતા સુધરાઈના ડૉક્ટર અને હેલ્થવર્કર્સ. તસવીર : સતેજ શિંદે
હાલમાં બધા ડૉક્ટરો-મેડિકલ પ્રોફેશનલ્સ કોરોના-ઇન્ફેક્શનના દરદીઓની સેવામાં હોવાથી આવતા મહિને પોસ્ટ-ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા મુલતવી રાખવાની તરફેણ રાજ્ય સરકાર કરે છે. રેસિડેન્શિયલ ડૉક્ટર્સ કોવિડ-19ના દરદીઓની સારવારમાં વ્યસ્ત હોવાથી એમાંના પોસ્ટ-ગ્રૅજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી અને પેપર્સ લખવાનું મુશ્કેલ હોવાથી મુખ્ય પ્રધાને વડા પ્રધાનને પત્ર લખીને ડૉક્ટરોની પોસ્ટ- ગ્રૅજ્યુએશનની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો અનુરોધ કર્યો છે. જો પરીક્ષા લેવાય તો કોરોના-ઇન્ફેક્શનના દરદીઓની સારવાર માટે ડૉક્ટરોની તંગી પડવાની શક્યતા મુખ્ય પ્રધાને દર્શાવી હતી.
ફાઇનલ યર ડૉક્ટર ઑફ મેડિસિન (MD) અને માસ્ટર ઑફ સર્જરી (MS)ના વિદ્યાર્થીઓ હાલ સરકારી અને મ્યુનિસિપલ હૉસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. ફાઇનલ યર MD/ MSના વિદ્યાર્થીઓ રેસિડન્ટ-3 તરીકે પણ ઓળખાય છે. એ બધા પબ્લિક હૉસ્પિટલ્સની કરોડરજ્જુ સમાન છે, કારણ કે એ બધા દરદીઓની સારવાર કરવા ઉપરાંત જુનિયર રેસિડન્ટ્સ અને ફ્રેશ ગ્રૅજ્યુએટ્સની ટીમના માર્ગદર્શક પણ છે.