બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું કોરોનાના કારણે નિધન
અશોક ખૈરનાર
મુંબઈ મહાનગરપાલિકાના એચ ઈસ્ટ વૉર્ડના ૫૭ વર્ષના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું ગઈ કાલે કોરોનાના કારણે નિધન થયું હતું. ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર, પુત્રવધૂ, એક ભાઈ અને બે બહેનોનો સમાવેશ થાય છે.
સાંતાક્રુઝ-ઈસ્ટને આવરી લેતા પાલિકાના એચ ઈસ્ટ વૉર્ડમાં કોરોનાના કેસ ડબલ થવાનો દર ૧૩૪ દિવસનો છે જે મુંબઈ મહાનગરપાલિકા જ નહીં, દેશમાં સર્વોત્તમ છે. એમ છતાં, તેના જ અસિસ્ટન્ટ કમિશનરનો ભોગ કોરોનામાં લેવાયો છે. કોરોનાના દરદીઓની સંખ્યામાં વધારો ન થાય એ માટે તેમણે બહુ જ પ્રયાસ કર્યા હતા અને તેમને એમાં સફળતા મળી હતી.
ધુળે જિલ્લાના મોહાડીના મૂળ રહેવાસી એવા અશોક ખૈરનારે શાળાકીય શિક્ષણ મોહાડીમાં જ લીધું હતું. ત્યાર બાદ દેશભરમાં જાણીતી મુંબઈની વીજેટીઆઇમાંથી એન્જિનિયરિંગ અને આઇઆઇટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ૧૯૮૮થી તે મુંબઈ મહાનગરપાલિકામાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા હતા. ૨૦૧૮માં તેઓ અસિસ્ટન્ટ કમિશનર બન્યા હતા.