ભાજપ મારી રાજકીય કારકિર્દી ખતમ કરી રહી છેઃ નારાયણ પટેલ
ભાજપના પૂર્વ ધારાસભ્યના પ્રદેશ અધ્યક્ષ પર આરોપ
ચુંટણી આવે તે પહેલા દરેક પક્ષમાં જોડ-તોડની નિતી શરૂ થઇ જતી હોય છે. ત્યારે ગત મહિને જ કોંગ્રેસમાંથી નારાજી વ્યક્ત કરીને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા હતા. જેને પગલે ભાજપના પુર્વ ધારાસભ્ય નારાયણ પટેલ નારાજ થયા હતા. પણ હાલમાં જ ઊંઝા APMC માં મંડળીઓ રદ્દ કરતા નારાયણ પટેલની નારાજગી લોકોમાં ઉડીને સામે આવી હતી. ત્યાર બાદ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર નારાયણ પટેલે તેમના નિવાસ સ્થાન પર શંકરસિંહ વાઘેલા વચ્ચે લાંબી બેઠક કરી હતી.
જો કે શંકરસિંહ વાઘેલાને આ અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે અમારા પારિવારીક સંબંધોને કારણે હું તેમને મળવા ગયો હતો. શંકરસિંહે વધુમાં કહ્યું હતું કે અમારી વચ્ચે 40-50 વર્ષથી પારિવારિક સંબંધો છે. એ કારણથી હું તેમને મળવા ગયો હતો. જોકે કાકા સાથે જે થયું તે ઘણું જ આઘાત જનક છે.
તો બીજી બાજુ જોઇએ તો ઊંઝાની સહકારી મંડળીમાં પહેલીવાર એવું બન્યું કે નારાયણ પટેલની મંડળીને કોઇ પણ પ્રકારના કારણ વગર રદ્દ કરવામાં આવી. જેને પગલે નારાયણ પટેલે ભાજપ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી અને સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં મોટા પાયે બળવો પણ થઇ શકે છે.
જીતુભાઇ વાઘાણી સામે નારાયણ પટેલે લગાવ્યા આરોપ
ભાજપના પુર્વ ધારાસભ્યો નારાયણ પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કેસી પટેલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કે.સી પટેલના વેવાઈને ઉંઝા એપીએમસીના ચેરમેન બનાવવા જીતુ વાઘાણીએ મારી સાથે અન્યાય કર્યો છે. સાથે જ કહ્યું હતું કે મુખ્યમંત્રીના વચન પછી પણ મારી મંડળીઓ રદ કરાઈ છે. નારાયણ પટેલે વાઘાણી પર આક્ષેપ કર્યો હતો કે આશાબેનને ભાજપમાં જોડી રાજકીય કારર્કીદી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ચોમાસા સુધી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં
ADVERTISEMENT
નારાયણ પટેલને મનાવવાના પ્રયાસો ચાલુ
સુત્રોના જણાવ્યા અનુસાર હાલ નારાયણ પટેલને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કાકાને મનાવવાની જવાબદારી લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરે લીધી છે. જોકે, તેમણે મીડિયા સમક્ષ એવી કબૂલાત કરી હતી કે ચૂંટણીનો માહોલ છે ત્યારે આવી હલચલ થતી હોય છે. નોંધનીય છે કે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના ભાજપમાં પ્રવેશથી નારાયણ પટેલ નારાજ છે. ત્યારે નારાયણ પટેલ નારાજ થતાં ભાજપને ઉત્તર ગુજરાતમાં મોટું નુકસાન થઇ શકે છે.