વાનખેડે સ્ટેડિયમની આસપાસનાં બિલ્ડિંગો પર તહેનાત હશે સ્નાઇપર્સ
ADVERTISEMENT
મુંબઈ પોલીસે ૩૧ ઑક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં રાજ્યના નવા ચીફ મિનિસ્ટરની શપથવિધિ માટે સલામતી-વ્યવસ્થાની તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ વખત જ ખુલ્લી જગ્યામાં યોજાનારી આ શપથવિધિમાં જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હશે તેમને જ વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.
પોલીસ-કમિશનર રાકેશ મારિયા અને જૉઇન્ટ પોલીસ-કમિશનર સદાનંદ દાતે સાથે શપથવિધિના દિવસે ૨૦૦૦ પોલીસો વાનખેડે સ્ટેડિયમમાં સલામતી-વ્યવસ્થા પર દેખરેખ રાખવા તહેનાત રહેશે. આમાં ૧૫૦ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ૬૦ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૧૫ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, પાંચ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસનો પણ સમાવેશ છે. સલામતી-વ્યવસ્થા બાબતે સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરો અને સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટ્સ સુરક્ષા-વ્યવસ્થાનું ધ્યાન રાખવા પહેલાંથી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે.
આ શપથવિધિમાં ત્રીસ હજાર લોકોને બોલાવવાની પાર્ટીની યોજના છે. એમાંથી ૨૫,૦૦૦ લોકો સ્ટેડિયમમાં ખુરસીઓ પર બેસશે જ્યારે અન્ય BJP શાસિત રાજ્યના પ્રધાનો, સેન્ટ્રલ મિનિસ્ટર્સ, BJPના વિધાનસભ્યો, બૉલીવુડ સેલિબ્રિટીઝ, અંબાણી જેવા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જેવા પાંચ હજાર મહત્વના અને અતિ મહત્વના લોકો ગ્રાઉન્ડમાં બેસશે.
શપથવિધિ માટે પાર્ટીએ બનાવેલા સ્ટેજને ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. મધ્યમાં દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરની સાથે બેસશે. બીજી તરફ અન્ય મહત્વના લોકો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સેન્ટ્રલ મિનિસ્ટર્સ અને સંતો બેસશે અને એક તરફ શપથ લેનાર મિનિસ્ટર્સ બેસશે.
પોલીસ-ઑફિસરે સલામતી-વ્યવસ્થા બાબતે કહ્યું હતું કે ‘નજીકનાં બધાં બિલ્ડિંગો પરથી સ્નાઇપર્સ એટલે કે ગુપ્ત બંદૂકધારીઓ દરેકેદરેક હિલચાલ પર ચાંપતી નજર રાખશે. વડા પ્રધાન આવવાના હોવાથી તેમના અંદર દાખલ થયા પછી જ બધાને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે. જોકે દરેક જણે ચાર વાગ્યા પહેલા અંદર દાખલ થઈ જવાનું રહેશે.’
પોલીસે શપથવિધિ દરમ્યાન એરિયાને નો ફ્લાઇંગ ઝોન જાહેર કર્યો છે તેમ જ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વૉડ અને ડૉગ-સ્ક્વૉડ સ્ટેડિયમમાં ચેકિંગ માટે તહેનાત રહેશે તેમ જ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા પોલીસ શહેરના દરેક એન્ટ્રી પૉઇન્ટ પર નાકાબંધી સાથે બાજનજર રાખશે.