અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
ફાઈલ તસવીર
ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની (Arnab Goswami) મુંબઇ પોલીસે ગત બુધવારે એટલે કે ચાર નવેમ્બરે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી હતી. ત્યારબાદ મુબંઈ હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આજે અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટના જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે બુધવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માંગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.
કોર્ટે સખત ભાષામાં કહ્યું હતું કે, આપણું લોકતંભ અસાધારણ રીતે ફ્લેક્સિબલ છે. મહારાષ્ટ્ર સરકારે આ બધુ નજર અંદાજ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો તે ન્યાયનું અપમાન છે. શું મહારાષ્ટ્ર સરકારે આ મામલે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે. આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા સામે લડવું પડે છે. જો બંધારણીય કોર્ટ હસ્તક્ષેપ ન કરે તો આપણે વિનાશના રસ્તે છીએ. અમે આ કેસમાં સુનાવણી એટલા માટે કરી રહ્યા છીએ કારણકે હાઈકોર્ટથી ન તો જામીન મળ્યા છે અને ન તેઓ વ્યક્તિગત આઝાદીને સુરક્ષા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ચાર નવેમ્બરે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. તે 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે રાત સુધીમાં તેને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં રવિવારે સવારે તેને તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.