મારે લીધે શરદ પવારને નીચાજોણું થતા રાજીનામું આપ્યું: અજિત પવાર
અજિત પવાર
એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક કૌભાંડમાં મારા કાકા અને એનસીપીના પ્રમુખ શરદ પવારના નામની વેરભાવનાથી વિનાકારણ સંડોવણીને કારણે મને દુઃખ થયું હતું. એથી અંતરઆત્માના અવાજને અનુસરતાં મેં વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ઉક્ત બૅન્કના ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મારી સામેના આરોપો સાચા નથી.’ અજિત પવારે શુક્રવારે પુણે જિલ્લાના બારામતીની બેઠકના વિધાનસભ્યના હોદ્દા પરથી રાજીનામું સ્પીકર હરિભાઉ બાગડેને સુપરત કર્યું હતું.
અજિત પવારે ભાવનાત્મક બયાનમાં પવાર પરિવારમાં તડા પડ્યાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક કે એના વ્યવહારો સાથે શરદ પવારને દૂર દૂરથી સંબંધ નથી. તેમ છતાં થોડા દિવસ પહેલાં એ બૅન્કના કૌભાંડમાં ફક્ત પવાર સાહેબનું નામ ચર્ચાતું હતું. હું શરદ પવારને કારણે નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા સુધી પહોંચ્યો અને એમને આ ઉંમરે મારા કારણે નીચાજોણું થાય છે એ જાણીને મને ક્ષોભ થયો છે, એથી મેં વિધાનસભ્યના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. મારા કાર્યોથી જો એનસીપીના કાર્યકરોની લાગણી દુભાઈ હોય તો હું એમની માફી માગું છું.’
કૌભાંડના આરોપો બાબતે અજિત પવારે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ છે. લોન મંજૂર કરવાના બધા નિર્ણયો સામૂહિક રીતે લેવાયા હતા. જો બૅન્કમાં ૧૧,૫૦૦થી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ હોય તો ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ ક્યાંથી શક્ય બને? વળી બૅન્કને ૨૮૫ કરોડ રૂપિયાનો નફો થયો હતો.’
ADVERTISEMENT
આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..
વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યા પછી લાંબા વખત સુધી પ્રસાર માધ્યમો કે જનસંપર્કથી અળગા રહેલા અજિત પવાર એમના કાકા શરદ પવારને મળવા એમના ઘરે ગયા હતા. એ વખતે શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળે તથા પવાર પરિવારના સભ્યો જ હાજર હતા.