અમદાવાદઃ કર્ણાવતી અને રાજપથ ક્લબના પહેલાં બે દિવસના ગરબા કેન્સલ
વરસાદથી ગ્રાઉન્ડમાં ભરાયા પાણી (ફાઈલ તસવીર)
અમદાવાદના જાણીતા કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબે ગરબા બે દિવસ માટે રદ્દ કર્યા છે. પહેલા અને બીજા નોરતે એટલે કે રવિવારે અને સોમવારે ગરાબ નહીં રમવામાં આવે. અમદાવાદમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગરબાના આયોજકોએ આયોજન રદ્દ કરવાની ફરજ પડી રહી છે. કર્ણાવતી અને રાજપથ ક્લબની આ જાહેરાતથી ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આખું વર્ષ ખેલૈયાઓ આ તહેવારની આતુરતાથી રાહ જોત હોય છે. પરંતુ આ વખતે જાણે મેઘરાજાએ તેમાં વિલન બનવાનું નક્કી કરી લીધું છે. પહેલા નોરતે જ ગરબા રમાઈ શકે તેવી સ્થિતિ નથી. અને અધુરામાં પુરું હજી પર આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આખી નવરાત્રીમાં ગરબા રમાશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.
વરસાદના કારણે આયોજકોની તૈયારીઓ પર પણ પાણી ફરી વળ્યો હોય તેવો માહોલ છે. ગરબા ગ્રાઉન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ વગેરેને પ્લાસ્ટિકથી ઢાંકવાનો વારો આવ્યો છે.
આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન...
ADVERTISEMENT
વડોદરામાં પણ થોડા દિવસથી ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગે બધા જ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે અંબાલાલ પાર્ક, મહેસાણા તથા નવલખી ગ્રાઉન્ડમાં વરસાદને કારણે પહેલા દિવસનાં ગરબા રદ કરવામાં આવ્યાં છે.