પરાઠા બાદ પોપકૉર્ન પર સરકારનો સપાટો, ૧૮ ટકા જીએસટી વસૂલાશે
પોપકોર્ન
પરાઠાં પર તાજેતરમાં જ ૧૮ ટકા જીએસટી નાખવાનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો હતો. હવે થિયેટરમાં ફિલ્મ જોતાં-જોતાં ખાવા માટે લોકોની ફેવરિટ પોપકૉર્ન સરકારની આંખે ચડી છે.
રેડી ટુ ઈટ પોપકૉર્ન પર પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ઑથોરિટી ઑફ ઍડ્વાન્સ રૂલિંગની ગુજરાત બેન્ચે આપ્યો છે. જે પ્રમાણે મૉલ અને રેસ્ટોરાંમાં વેચાતા પોપકૉર્ન પર ૧૮ ટકા જીએસટી લાગુ થશે. બેન્ચનું કહેવું છે કે પોપકૉર્ન બનાવવા માટે મકાઈના દાણાને ગરમ કરીને એમાં મીઠું અને માખણ જેવી વસ્તુઓ પણ ભેળવવામાં આવે છે એટલે એના પર ૧૮ ટકા જીએસટી આપવો પડશે.
આ પહેલાં ઑથોરિટી ઑફ ઍડ્વાન્સ રૂલિંગે જ પરાઠાં પર ૧૮ ટકા જીએસટી નાખવાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે ખાખરા, સાદી રોટલી પૂરી રીતે તૈયાર વસ્તુઓ છે, જ્યારે માલાબાર પરાઠાં આ ઉત્પાદનોથી અલગ છે. એના ઉપયોગ માટે પ્રોસેસિંગની જરૂર હોય છે એટલે એના પર ૧૮ ટકા જીએસટી હોવો જોઈએ.