મનોરંજન થયું મોકળું : થિએટર ખોલવા માટેના નિયમો જાહેર
સિનેમા હોલ
કોરોનાને કારણે છેલ્લા સાત મહિનાથી બંધ દેશનાં સિનેમા થિયેટર ૧૫ ઑક્ટોબરથી ખૂલશે. સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગઈ કાલે સિનેમા હૉલ માટે એસઓપી જાહેર કરી હતી. પોતાના ઘરે પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે માસ્ક પહેરવું તથા દર્શકો વચ્ચે એક સીટનું અંતર રાખવું જરૂરી છે. સિનેમા હૉલ છેલ્લા સાત મહિનાથી બંધ છે એ હવે ૧૫ ઑક્ટોબરથી ખૂલશે. લોકોની સુરક્ષા માટે અમે એસઓપી તૈયાર કરી છે. સિનેમા હૉલમાં ૫૦ ટકા લોકોને બેસાડી શકાશે. સોશ્યલ ડિસ્ટન્સના પાલન માટે એક ખુરશી છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખાલી ખુરશીઓ પર અલગ નિશાન મૂકવામાં આવશે. વળી એસીને ૨૩ ડિગ્રી કરતાં ઓછું નહીં રાખી શકાશે. હંમેશાં માસ્ક પહેરી રાખવું પડશે, સાથે જ સૅનિટાઇઝર પણ જરૂરી છે.
ભલે સરકારે છૂટ આપી હોય, પણ હાલ તરત કોઈ નવી ફિલ્મ રજૂ થાય એવી શક્યતા પણ નથી. જાવડેકરે વધુમાં કહ્યું હતું કે એક શો પૂરો થયા બાદ સમગ્ર હૉલને સૅનિટાઇઝ કરવો પડશે, ત્યાર બાદ જ બીજો શો ચાલુ થશે. સિંગલ સ્ક્રીનની ટિકિટ બુકિંગ માટે વધુ ટિકિટબારીઓ ખોલવી પડશે. ઑનલાઇન ટિકિટ ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે. સિનેમા હૉલમાં માત્ર પૅકેટ ભોજન કે પીણાને જ અનુમતિ આપવામાં આવશે.