મણિપુરમાં સેના પર ઉગ્રવાદીઓનો હુમલો : ત્રણ જવાન શહીદ, 6 ઘાયલ
પ્રતીકાત્મક તસવીર
મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે અને ૬ જવાન ઈજા પામ્યા છે. આ ઘટના બુધવારે રાતે ૧.૧૫ વાગ્યે રાજધાની ઇમ્ફાલથી ૯૫ કિલોમીટર દૂર ચંદેલ જિલ્લામાં થઈ છે. આ પહાડી વિસ્તાર છે.
ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહો વિરુદ્ધ ઑપરેશન દરમ્યાન ૪ આસામ રાઇફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે.
ADVERTISEMENT
જવાનો પર ઘાત લગાવીને ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૬ જવાનોને ઈજા પણ પહોંચી છે, જેમને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની મિલિટરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ સૌપ્રથમ આઇઈડી બ્લાસ્ટ કર્યો અને પછી જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ઇમ્ફાલથી ૧૦૦ કિલોમીટર દૂર આ વિસ્તારમાં ઇન્સફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીએ હુમલાને અંજામ આપ્યો છે. સેના તરફથી ઉગ્રવાદીઓને શોધવા માટે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે.
પાછલા વર્ષે નવેમ્બરમાં જ ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કૅમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કૅમ્પમાં બૉમ્બ ફેંક્યા હતા. ત્યાર બાદ ઉગ્રવાહી નજીકના પહાડમાં ભાગી ગયા હતા. જેકે એ ઘટનામાં સેનાનો કોઈ જવાન ઈજા પામ્યો નહોતો.