અમિત શાહની હાજરીમાં રૅપિડ ઍક્શન ફોર્સની ૨૭મી વર્ષગાંઠ ઊજવાઈ
અમિત શાહ
(જી.એન.એસ.) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે અમદાવાદ ખાતે રૅપિડ ઍક્શન ફોર્સની ૨૭મી વર્ષગાંઠ પરેડનું નિરીક્ષણ કર્યું. ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫એનાં પ્રાવધાનો હટાવીને ૩૫,૦૦૦ શહીદોને સન્માન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારના આ પગલાથી કાશ્મીરમાં નવા યુગની શરૂઆત થશે. મંત્રીશ્રીએ શહીદ જવાનોનાં બલિદાનને યાદ કરીને તેમના અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ૧૩૦ કરોડની વસ્તીવાળા વિવિધતાસભર દેશમાં આ દળોએ જાનની પરવા કર્યા વિના સુરક્ષા નિશ્ચિત કરી છે અને આજે દેશમાં જે વિકાસ અને શાંતિ છે એનું શ્રેય તેમના બલિદાનને જ જાય છે.