૧૯૯૩ના મુંબઈ સિરિયલ બૉમ્બબ્લાસ્ટ પાકિસ્તાનની ઈર્ષાનું પરિણામ હતા : શિંદે
દિલ્હીમાં એક પ્રાઇવેટ ન્યુઝચૅનલના કાર્યક્રમમાં બોલતાં શિંદેએ કહ્યું હતું કે પાકિસ્તાન હજી પણ ભારતવિરોધી માનસિકતાથી પીડાઈ રહ્યું છે અને નકલી ચલણી નોટો દ્વારા ભારતીય અર્થતંત્રને પાયમાલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ૧૯૯૨માં ભારતે આર્થિક સુધારા લાગુ કર્યા હતા એ પછી ઝડપથી દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હતો, ભારતના આર્થિક વિકાસની પડોશી દેશને ઈર્ષા થઈ આવી હતી અને એ પછી ૧૯૯૩માં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક પછી એક ૧૩ બ્લાસ્ટ કરાવવામાં આવ્યા હતા. શિંદેએ એમ પણ કહ્યું હતું કે ‘આ સિરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમને ભારત લાવીને સજા આપવામાં આવશે જ. માત્ર દાઉદ જ નહીં અન્ય આતંકવાદીઓને પણ તેમના કૃત્યની સજા મળશે.’