નવરાત્રિમાં કઈ રીતે મેળવશો પૂજાનું અચૂક ફળ?
નવરાત્રિમાં કઈ રીતે મેળવશો પૂજાનું અચૂક ફળ?
આજથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા (શારદીય) નવરાત્રિ રંગારંગ પ્રારંભ થશે. શહેરની શેરીએ, મહોલ્લામાં, સોસાયટી, અપાર્ટમેન્ટ, કૉમ્પ્લેક્સ, પાર્ટી-પ્લૉટ, ક્લબોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમીને ઘૂમશે. એ સાથે જ દરેક ગામ, શહેરમાં આદ્યશક્તિનાં જાણીતાં મંદિરોમાં પણ ઉજવણીનો રાસગરબાનો ધમધમાટ જોવા મળશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર જોગાનુજોગ ચાલુ વર્ષે અમૃત સિદ્ધિ યોગના સમન્વય સાથે નોરતાંનો આરંભ થશે. પહેલે નોરતે આખો દિવસ અમૃતસિદ્ધિ યોગ સાથે સવારે ઘટસ્થાપનનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. ત્યાર બાદ નવ દિવસ સુધી નવ દેવી સ્વરૂપની પૂજા-અર્ચના સાથે ગરબાની રમઝટ જોવા મળશે. દેવી ભાગવત અનુસાર
ભગવાન વિષ્ણુએ પણ જ્યારે ધરતી પર અવતાર ધર્યો હતો ત્યારે તેમણે પણ નવરાત્રિમાં મા શક્તિની આરાધના કરી હતી.
દૈવીભક્તો ૯ દિવસ સુધી શક્તિની ભક્તિમાં લીન થશે. માતાજીના મંત્રો, પાઠ, સ્તોત્ર, હવન જેવા કાર્યો કરશે. આ દિવસો દરમ્યાન કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે કે સાવધાની રાખવામાં આવે તો કરેલી પૂજાનું ફળ અચૂક મળે છે. તો જાણી લો કયા કયા નિયમોનું પાલન નવરાત્રિમાં કરવું જરૂરી છે.
નવરાત્રિના નવલા દિવસોમાં ભક્તો પોતાના ઘરે ઘટસ્થાપના કરી ૯ દિવસ સુધી આદ્યશક્તિની આરાધના કરશે જેમાં પ્રથમ દિવસે કળશસ્થાપના અને શૈલપુત્રીની ઉપાસનાનું મહત્ત્વ હોય છે. નવરાત્રિમાં ઘટસ્થાપનામાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે જો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો પૂજાનું ફળ શીઘ્ર મળે છે અને મા દુર્ગા ઝડપથી પ્રસન્ન થાય છે.
પૂર્વ કે ઈશાન ખૂણામાં અનુષ્ઠાન કે પૂજાવિધિ કરવી. આ દિશા દેવતાઓની માનવામાં આવે છે. જો મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરવાની હોય તો સ્થાપના અગ્નિ ખૂણામાં જ કરવી. પૂજા કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું. ચંદનના લાકડામાંથી બનેલા બાજોઠ કે પાટલા પર નવરાત્રિનું અનુષ્ઠાન કે ઝવેરાની સ્થાપના કરવી, શુભ ફળ મળે. મંદિરમાં રોજ સાફસફાઈ કરવી અને ગંદાં કપડાં રોજ સાફ કરવા.
નવરાત્રિમાં બદલાવેલી મંદિરની ધજાને ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. પૂજાસ્થળની સામે થોડો ખુલ્લો ભાગ રાખવો જેથી ત્યાં બેસીને પૂજા કરી શકાય.
આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..
ADVERTISEMENT
વિશેષમાં - સવારે અને સાંજે ઘરમાં શુદ્ધ દીવો પ્રગટાવવો અને માતાનું સ્મરણ કરવું. આઠમના દિવસે ઘરમાં કુંવારી કન્યાઓને ભોજન કરાવવું. નવરાત્રિના દિવસો દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવું. સાત્વિક આહાર લેવો. લસણ, ડુંગળીનો ત્યાગ કરવો. માતાનું સ્મરણ કરવું.