Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

તમારા મળમાં લોહી પડે છે?

Published : 08 July, 2015 05:35 AM | IST |

તમારા મળમાં લોહી પડે છે?

તમારા મળમાં લોહી પડે છે?



toilet seat



જિગીષા જૈન

ઘણાં લક્ષણો એવાં હોય છે જે ખૂબ જ સામાન્ય ગણાય છે એટલે કે લક્ષણ એક હોય, પરંતુ એને લગતા રોગ ઘણાબધા હોઈ શકે છે; જેમ કે તાવ આવવો. કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો એને લગતી ઘણીબધી જુદી-જુદી બીમારી હોઈ શકે કે એને સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે છે અને મલેરિયા કે ટાઇફૉઇડ પણ હોઈ શકે છે. આ કન્ડિશનમાં જરૂરી એ છે કે વ્યક્તિ એ લક્ષણને બિલકુલ અવગણે નહીં અને તરત જ ઇલાજ કરાવડાવે. આવું જ એક સામાન્ય લક્ષણ છે મળમાં લોહી પડવું. આ એક એવું લક્ષણ છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય કે એની સાથે શું થઈ ગયું, પરંતુ ઘણી વાર એવું પણ થઈ શકે છે કે વ્યક્તિને ખબર જ ન પડે કે તેના મળમાં લોહી પડે છે. આ લક્ષણને ઓળખવું જરૂરી છે અને જેટલું વહેલું એને ઓળખી શકાય રોગનો ઇલાજ એટલો જ જલદી શરૂ થઈ શકે છે. આજે આપણે જાણીશું કે મળમાં લોહી પડતું હોય તો એની પાછળ કયાં-કયાં કારણો જવાબદાર હોઈ શકે અને એ બાબતે શું સાવચેતી રાખવી જરૂરી છે.

પાચનતંત્રની તકલીફ

મળમાં લોહી પડવું એ ટાળી શકાય એવું લક્ષણ નથી. જે પણ વ્યક્તિને આ લક્ષણ સામે આવે એ વ્યક્તિએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એના વિશેની મૂળભૂત વાત કરતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મળમાં લોહી પડવાનો મુખ્ય અર્થ એ થાય કે પાચનપ્રક્રિયામાં કોઈક ગરબડ છે. પાચનને સંબંધિત અન્નનળીથી લઈને મળદ્વાર સુધીના ભાગ બધામાંથી કોઈ એકમાં કંઈક ગરબડ છે જેને લીધે મળમાં લોહી આવે છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ લક્ષણ દેખાય ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર જરૂરી ટેસ્ટ કરાવી એ તપાસે કે પાચનતંત્રના કયા ભાગમાં તકલીફ છે અને તમને કયા ઇલાજની જરૂર છે.’

કાળો અને લાલ

જો મળ લાલ રંગનો હોય, કમોડમાં એકદમ લાલ લોહી દેખાય આવે, ટૉઇલેટ પેપર પર લોહી હાથમાં આવે તો મળમાં લોહી છે એ સરળતાથી સમજી શકાય છે; પરંતુ બને કે એવું ન થાય તો? મળમાં લોહી પડે છે એ બિલકુલ જરૂરી નથી કે સરળતાથી ખબર પડે. એ વિશે આગળ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો આંતરડાથી ઉપરના ભાગમાં કોઈ તકલીફ હોય અને એ ઉપરના ભાગોમાંથી લોહી નીકળતું હોય તો એ લોહી જઠરમાં રહેલા પાચકરસો સાથે ભળીને પોતાનો લાલ રંગ ગુમાવી બેસે છે. પછી એ કૉફી કે કથ્થાઈ રંગ જેવું કે પછી કાળા રંગમાં પરિણમે છે અને મળનો રંગ કાળો કે કૉફી બની જાય છે. સામાન્ય રીતે કાળા રંગનો મળ હોય તો કોઈ વ્યક્તિ એ સમજી નથી શકતી કે એ મળમાં લોહી છે, પરંતુ એ લોહી જ હોય છે. આમ જો મળ કાળા રંગનો હોય અને ટેસ્ટમાં ખબર પડે કે મળમાં લોહી જ છે તો એનો અર્થ એ થાય કે જઠરની ઉપરના ભાગમાં તકલીફ છે, પરંતુ જો મળમાં લાલ રંગનું લોહી જોવા મળે તો સમજવું કે જઠરથી નીચેના ભાગમાં તકલીફ છે.’

ટેસ્ટ જરૂરી

ઘણી વાર લોહી મળમાં એટલી ઓછી માત્રામાં ભળેલું હોય છે કે એ નરી આંખે સમજી શકાતું નથી કે મળમાં લોહી છે. જ્યાં સુધી એની ટેસ્ટ ન કરાવીએ બિલકુલ સમજમાં નથી આવતું કે મળમાં લોહી પડે છે. આ સ્ટેજ પર જો પકડી પાડીએ કે મળમાં લોહી છે તો રોગનું નિદાન અને એનો ઇલાજ બન્ને ખૂબ સારી રીતે થઈ શકે અને નુકસાનથી પણ બચી શકાય. મળમાં લોહીની સમસ્યા મોટા ભાગે ૫૦ વર્ષથી ઉપરના લોકોને વધુ સતાવે છે. આ સિવાય વ્યક્તિને પોતાની પેટ સાફ કરવાની આદતમાં અચાનક જ કોઈ ખાસ ફેરફાર જણાય તો પણ એણે રિસ્ક લીધા વગર સ્ટૂલ-ટેસ્ટ કરાવી લેવી જોઈએ. આદર્શ રીતે તો ૩૦ વર્ષની ઉંમર પછીથી દર વર્ષે વ્યક્તિએ સ્ટૂલ-ટેસ્ટ કરાવવી જરૂરી છે. એ ટેસ્ટ દ્વારા વ્યક્તિના પાચનને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય તો એ સમજી શકાય છે.

ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ કે મળમાં લોહી હોય તો કઈ બીમારી હોઈ શકે?

અન્નનળી : જ્યારે મળમાં લોહી નીકળતું હોય ત્યારે બને કે અન્નનળીમાં અંદરની દીવાલ પર ચીરા પડી જાય તો લોહી નીકળે છે અને એ લોહી પાચનમાર્ગ તરફ આગળ વધે છે, પરંતુ આ લોહી જઠરમાં જઈને પાચકરસો સાથે ભળે છે એટલે લોહી કાળું બની જાય છે અને એને કારણે મળ પણ કાળો લાગવા લાગે છે.

લિવરનો પ્રૉબ્લેમ : જો વ્યક્તિને સૉરાયસિસ નામનો રોગ હોય અથવા લિવરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને કારણે અન્નનળીમાં નીચેના ભાગમાં નસો ફૂલી જાય છે અને આ ફૂલેલી નસોમાં જ્યારે ખોરાક ઘસાય છે ત્યારે નસો છોલાય જવાથી એમાંથી લોહી નીકળે છે અને મળ કાળો થઈ જાય છે.

જઠર : ઘણી વાર જઠરમાં ઍસિડનું પ્રમાણ સતત વધતું રહે છે. એને લીધે જાત-જાતનાં અલ્સર થઈ જાય છે. આ ઍસિડ જઠરની દીવાલ પરના કવચને તોડીને જઠરની દીવાલને અસર પહોંચાડવા લાગે છે જેથી આ દીવાલોમાંથી લોહી વહેવા લાગે છે જે મળ વાટે બહાર આવે છે. અલ્સર પણ અલગ-અલગ પ્રકારનાં હોય છે, જેનું નિદાન જરૂરી છે.

કૅન્સર : જ્યારે અલ્સર ખૂબ વધી જાય તો એ કૅન્સરનું રૂપ લઈ શકે છે. પાચનમાર્ગમાં અલગ-અલગ અંગમાં કૅન્સર થવાની શક્યતા રહેલી છે. જો કૅન્સર થાય તો પણ મળ વાટે લોહી નીકળે છે. જો આ પ્રારંભિક લક્ષણને પહેલાં પકડી પાડીએ તો કૅન્સરનો ઇલાજ ઘણો સરળ બની જાય છે.

ઇન્ફેક્શન : આમ તો પાચનતંત્રના કોઈ પણ ભાગમાં, પરંતુ ખાસ કરીને નાના અને મોટા આંતરડામાં ઇન્ફેક્શન થયું હોય તો પણ બ્લીડિંગ થઈ શકે છે. આ ઇન્ફેક્શન મોટા ભાગે ખોરાક કે પાણી દ્વારા જ ફેલાય છે. મોટા આંતરડામાં અલ્સરેટિવ કૉલાઇટિસ અને ક્રૉન્સ ડિસીઝ જેવા ઇન્ફ્લૅમેટરી બૉવેલ ડિસીઝ થાય તો પણ એના લક્ષણરૂપે મળમાં લોહી પડે છે.                                                                                                                                                                                                                                                                                                                                                   

પૂંઠ : જે વ્યક્તિને કબજિયાત હોય, બેઠાડુ જીવન જીવતા હોય, ખોરાકમાં મેંદાનું વધુ પ્રમાણ અને શાકભાજીનું પ્રમાણ ઓછું લેતા હોય તેમને પાઇલ્સ એટલે કે હરસ કે ફિશરની બીમારી થઈ શકે છે. પાઇલ્સ અને ફિશરમાં ફક્ત એટલો જ ફરક છે કે પાઇલ્સમાં દુખાવો નથી થતો અને લોહી ઘણુંબધું વહી જાય છે. ફિશરમાં દુખાવો અત્યંત રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2015 05:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK